ચૂંટણી નજીક આવે એટલે તરત મનુવાદી રાજકીય પક્ષોના નેતાઓને દલિતો યાદ આવે છે. પરંતુ જ્યારે આ જ દલિતો પર કથિત સવર્ણ જાતિના ગુંડાઓ ખૂલ્લેઆમ અત્યાચાર કરે છે ત્યારે એકેય મનુવાદી પાર્ટીના નેતાઓ પીડિત દલિત પરિવારની પડખે આવીને ઉભા રહેતા નથી. આવું દેશમાં દરરોજ બને છે અને તાજી ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. અહીં એક દલિત મહિલા સરપંચના પતિને ગામના માથાભારે તત્વોએ માર મારી, મોં કાળું કરી, જૂતાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા.
મામલો શું હતો?
મામલો મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ઉનાવ ગામનો છે. અહીં માનવતા અને કાયદાના શાસનને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ગામના પાંચ ગુંડા તત્વોએ ગામના દલિત મહિલા સરપંચના પતિ લક્ષ્મણ વર્માને જાતિસૂચક અપશબ્દો કહ્યા, માર માર્યો, મોં કાળું કર્યું, ગળામાં જૂતાનો હાર પહેરાવ્યો અને આખા ગામમાં ફેરવ્યા.

રવિવારે બપોરે અઢી વાગ્યાના સુમારે જ્યારે લક્ષ્મણ વર્મા ગામમાં મહેન્દ્ર યાદવના ઘર પાસે ઉભા હતા, ત્યારે અચાનક પાંચ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોમાં ગોલૂ યાદવ, પવન ચોબે, મનોજ યાદવ, અભિષેક સિંહ યાદવ અને ભગત સિંહ યાદવનો સમાવેશ થાય છે. આ ટોળકીએ લક્ષ્મણ વર્મા સાથે પહેલા ગાળાગાળી કરી અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યા હતા. આ હુમલા પાછળનું કારણ એક શંકા હતી. આરોપીઓને શંકા હતી કે લક્ષ્મણ વર્માના ભત્રીજાએ તેમના પરિવારની એક યુવતીને ભગાડી જવામાં મદદ કરી છે અથવા તે તેને લઈ ગયો છે. આ શંકાના આધારે જ તેમણે લક્ષ્મણ વર્માને નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની સજા રદ નહીં કરાય
જૂતાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યા
વાત માત્ર માર મારવા પુરતી મર્યાદિત નથી. હિંસા બાદ જે કૃત્ય કરવામાં આવ્યું તે કાયદો અને વ્યવસ્થાના મોં પર તમાચો હતી.
આરોપીઓએ લક્ષ્મણ વર્માના ચહેરા પર કાળું તેલ ચોપડી દીધું હતું. ત્યારબાદ સરેઆમ રસ્તા પર ઉભા રાખી તેમને જૂતા-ચંપલની બનેલી માળા પહેરાવવામાં આવી હતી. આટલું અપમાન ઓછું હોય તેમ, તેમને આ જ સ્થિતિમાં આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા જેથી કરીને તેમનું સામાજિક રીતે ખરડાયેલું ચિત્ર ઉપસી આવે અને ગામના દલિતોમાં ડરનો માહોલ પેદા થાય. આ આખી ઘટના દરમિયાન આસપાસના લોકો સ્તબ્ધ થઈને જોતા રહ્યા હતા, પરંતુ આરોપીઓની બીકને કારણે કોઈ પણ વ્યક્તિ આ અત્યાચાર રોકવા આગળ આવી ન હતી.

એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છતાં એકેય ધરપકડ નહીં
ઘટના બાદ પીડિત લક્ષ્મણ વર્માએ હિંમત ભેગી કરી ઉનાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ એટલે કે એસસી-એસટી એક્ટ(SC-ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી ગંભીર અને જાહેર ઘટના હોવા છતાં, પોલીસ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરી શકી નથી. આ વિલંબને કારણે પીડિત પરિવારમાં ભયનું વાતાવરણ છે અને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે શું પોલીસ આ માથાભારે લોકો સામે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહી છે?
આ પણ વાંચો: પોલીસે કહ્યું હતું, ‘તારો છોકરો હાથમાં આવશે તો મારી નાખીશું’ અને એવું જ થયું!
એમપીમાં દલિતો, આદિવાસીઓ અસુરક્ષિત?
મધ્યપ્રદેશમાં દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ અત્યંત ચિંતાજનક જણાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2022ના અહેવાલ મુજબ, ભારતમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનાઓમાં 13.1% નો વધારો થયો છે. મધ્યપ્રદેશ આ મામલે દેશમાં સતત ત્રીજા સ્થાને રહ્યું છે. વર્ષ 2021 માં રાજ્યમાં 7214 કેસ નોંધાયા હતા, જે 2022 માં વધીને 7733 અને 2023 માં 8232 સુધી પહોંચી ગયા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કડક કાયદા હોવા છતાં ગુનેગારો બેફામ બન્યા છે. ખાસ કરીને આદિવાસીઓ પરના અત્યાચારના મામલામાં તો મધ્યપ્રદેશ 2979 કેસો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ-જાતિવાદીઓની સાંઠગાંઠ
રાજ્ય સરકારે દલિતોની સુરક્ષા માટે ૫૨ જિલ્લાઓમાં 51 વિશેષ પોલીસ સ્ટેશનો બનાવ્યા છે, છતાં જમીની હકીકતમાં કોઈ સુધારો દેખાતો નથી. સામાજિક કાર્યકરોના મતે, ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ તંત્ર અને સ્થાનિક માથાભારે તત્વો વચ્ચેની સાંઠગાંઠ પીડિતોને ન્યાય મેળવવામાં અવરોધરૂપ બને છે. પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારોમાં તો દલિત અને આદિવાસી સંગઠનોએ આંદોલન કે દબાણ કરવું પડે છે ત્યારે જ પોલીસ એફઆઈઆર નોંધવા તૈયાર થાય છે. ઉનાવ ગામની આ ઘટનામાં પણ એ જ પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં ફરિયાદ તો નોંધાઈ છે પણ કાર્યવાહી શૂન્ય છે.
આ પણ વાંચો: દલિત બાળકી સાથે આભડછેટ રખાતા બે જૂથો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ
સરપંચ પતિ સુરક્ષિત નથી તો અન્યોની શું?
ઉનાવ ગામની આ ઘટના માત્ર લક્ષ્મણ વર્મા કે તેમના પરિવારનું અપમાન નથી, પરંતુ તે લોકશાહીના પાયા સમાન પંચાયતી રાજ વ્યવસ્થા પર પણ હુમલો છે. જ્યારે ગામની મહિલા સરપંચના પતિ સુરક્ષિત ન હોય અને જાહેરમાં તેમનું આવું શરમજનક અપમાન કરવામાં આવતું હોય, ત્યારે સામાન્ય દલિત નાગરિકોની શું હાલત હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ ઘટના સાબિત કરે છે કે બંધારણીય હોદ્દાઓ પર દલિતોની વરણી થયા પછી પણ સામાજિક સ્વીકૃતિમાં મોટો અવરોધ છે. જાતિવાદી તત્વોને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે અને તેઓ ગમે ત્યારે ગમે તે કરી શકે છે.
ગામમાં તણાવનો માહોલ
હાલમાં દતિયામાં આ મુદ્દે તણાવ યથાવત છે. પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે જીવી રહ્યો છે અને સ્થાનિક દલિત સંગઠનોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. પ્રશાસન માટે આ એક કસોટીનો સમય છે કે તેઓ કાયદાનું શાસન સ્થાપિત કરે છે કે પછી દબંગો સામે ઘૂંટણ ટેકવી દે છે.
આ પણ વાંચો: ‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો













Aa Hindu jatankvadi ne jail ma nakho