ડૉ.આંબેડકર વૈજ્ઞાનિક અને બંધારણીય દૃષ્ટિકોણ ધરાવતા હોવાથી આમ તો ક્યારેય બ્રિટિશ શાસનનો બિનજરૂરી વિરોધ કર્યો ન હતો, પરંતુ અંગ્રેજ સરકારે ભારતમાં પોતાના શાસન દરમિયાન એવી ઘણી નીતિઓ બનાવી હતી જેને બાબાસાહેબે ખોટી માની હતી. જેમાં ભારતની વનસંપદા અને જંગલો પર કબજો મેળવવા અને ત્યાં રહેતા મૂળ રહેવાસીઓને વિસ્થાપિત તથા નબળા પાડવા માટે બનાવવામાં આવેલા નિયમો મુખ્ય હતા. આ અંતર્ગત પહેલો કાયદો ‘ભારતીય વન અધિનિયમ, 1878’ (Indian Forest Act, 1878) હતો, જેના દ્વારા અંગ્રેજોએ તમામ જંગલોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા હતા – આરક્ષિત (Reserved), સુરક્ષિત (Protected) અને ગ્રામીણ વન (Village Forests).
કાયદાના નામે શોષણની શરૂઆત
આ અધિનિયમ દ્વારા અંગ્રેજોએ આદિવાસીઓ અને સ્થાનિક લોકોના સદીઓ જૂના પરંપરાગત અધિકારો જેમ કે લાકડા કાપવા અને જંગલોમાં પશુ ચરાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ બીજો કાયદો ‘ભારતીય વન અધિનિયમ, 1927’ (Indian Forest Act, 1927) લાવવામાં આવ્યો. આ કાયદા હેઠળ અગાઉના તમામ વન કાયદાઓને એકઠા કરીને જંગલો પર સરકારી નિયંત્રણને વધુ મજબૂત બનાવવામાં આવ્યું અને સ્થાનિક લોકોની દૈનિક પ્રવૃત્તિઓને ગુનો જાહેર કરી દેવાઈ.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?
આ સાથે જ ખેડૂતોની જમીનો પર બળજબરીથી કબજો કરવા માટે ‘જમીન સંપાદન અધિનિયમ, 1894’ (Land Acquisition Act, 1894) લાવવામાં આવ્યો, જેના હેઠળ અંગ્રેજોએ પોતાને એ અધિકાર આપી દીધો કે તેઓ સરકારી, વ્યાવસાયિક કે સાર્વજનિક કાર્યો (જેમ કે રેલવે લાઈન બિછાવવી) માટે કોઈપણ ખેડૂતની જમીન સંપાદિત કરી શકે છે.
અંગ્રેજોના આ દમનકારી કાયદાઓને કારણે ભારતીય ખેડૂતો પાસેથી માત્ર તેમની જમીન જ નહોતી છીનવાઈ રહી, પરંતુ સદીઓથી જે જંગલોને તેઓ પોતાનું ઘર સમજતા હતા તે પણ તેમના હાથમાંથી જઈ રહ્યા હતા. આવા કપરા સમયે તેઓ શું કરે? તેથી અંગ્રેજ સરકારના આ મનસ્વી નિર્ણયો સામે દેશના અનેક ભાગોમાં વિદ્રોહના સૂર ઉઠવા લાગ્યા હતા.
પરંતુ મહારાષ્ટ્રના ચિરનેરમાં જે ઘટના બની, તેણે દેશને પહેલીવાર બાબાસાહેબ આંબેડકરનું એ અદભુત સ્વરૂપ બતાવ્યું જ્યારે બાબાસાહેબે બ્રિટિશ શાસનના જ કાયદાઓનો ઉપયોગ કરીને ચિરનેરના નિર્દોષ લોકોને ફાંસી અને આજીવન કેદની સજામાંથી બચાવ્યા હતા અને અંગ્રેજોની ભારે ફજેતી કરી હતી.

આ પણ વાંચો: સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
ચિરનેર સત્યાગ્રહનો પ્રારંભ
વાત વર્ષ 1930ના સમયની છે. જમીન સંપાદન અધિનિયમ, 1894 હેઠળ અંગ્રેજ સરકારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ચિરનેર ગામના ગરીબ આદિવાસીઓ અને ખેડૂતોની જમીન તેમજ જંગલો પર કબજો જમાવી લીધો હતો. સદીઓથી આ જંગલોને પોતાનું આશિયાનું માનતા મૂળ રહેવાસીઓ બેઘર થઈ ગયા હતા અને તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું.
આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને આદિવાસીઓએ અંગ્રેજ શાસન વિરુદ્ધ જઈને પોતાના જંગલોમાં પ્રવેશવાનું નક્કી કર્યું. પરંતુ બ્રિટિશ પોલીસ દળો ચિરનેરના જંગલોને ઘેરીને બેઠા હતા. વર્ષ 1930માં મહાત્મા ગાંધીની દાંડી યાત્રા એક સફળ આંદોલન સાબિત થઈ ચૂકી હતી, તેથી પ્રેરણા લઈને ચિરનેરના લોકોએ ‘ચિરનેર સત્યાગ્રહ’ ના નામે આંદોલન શરૂ કર્યું. તેમનો એક જ નારો હતો – “અમારું જંગલ, અમારો હક”.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?
ખેડૂતો માટે જંગલના રસ્તા બંધ થવા એ તેમના અને તેમના પશુઓ માટે મોતના ફરમાન સમાન હતું. તેઓ જંગલમાંથી લાકડા, ફળ કે ઘાસચારો લાવી શકતા નહોતા. પોતાના પરિવારને નજર સામે ભૂખે મરતા ન જોઈ શકવાના કારણે લોકો સંગઠિત થયા અને 25 સપ્ટેમ્બર 1930ના રોજ હજારો ખેડૂતો પરિવારો સાથે ચિરનેર મહા સત્યાગ્રહ માટે એકઠા થયા.
આ સંપૂર્ણપણે અહિંસક અને શાંતિપૂર્ણ સત્યાગ્રહ હતો, જે માત્ર પોતાના અધિકારો મેળવવા માટે હતો. પરંતુ આ શાંતિપૂર્ણ સત્યાગ્રહને હિંસક બનાવવા માટે અંગ્રેજ અધિકારીઓ સ્મિથ અને મિલરે ભીડને અટકાવી. ખેડૂતોએ આગળ વધવાનું ચાલુ રાખતા બંને અધિકારીઓએ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. આ ગોળીબારમાં 10 લોકોના મોત થયા અને સેંકડો લોકો ઘાયલ થયા. ત્યારપછી અંગ્રેજ સરકારે આશરે 300 ખેડૂતોની દેશદ્રોહના આરોપસર ધરપકડ કરી લીધી.
કોર્ટમાં બાબાસાહેબની એન્ટ્રી
અંગ્રેજો કોઈપણ ભોગે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તે નિઃશસ્ત્ર અને નિર્દોષ ખેડૂતોને ફાંસી અથવા આજીવન કેદની સજા કરાવવા માંગતા હતા. તેમનો પક્ષ મજબૂત હતો અને ગરીબ ખેડૂતો વતી કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર નહોતો. બ્રિટિશ સરકાર સાથે દુશ્મની વહોરવા કોણ તૈયાર થાય? આવા સમયે ખેડૂતોના પરિવારોને કોઈકે સલાહ આપી કે તેઓ મુંબઈ હાઈકોર્ટ જાય, ત્યાં એક એવા મસીહા (બાબાસાહેબ) છે જે વંચિતો અને ગરીબોના કેસ લડે છે. પીડિત પરિવારો મુંબઈ હાઈકોર્ટ પહોંચ્યા અને તેમણે બાબાસાહેબ આંબેડકર સમક્ષ પોતાના સ્નેહીજનોને બચાવવા આજીજી કરી. બાબાસાહેબે તેમની તમામ વેદના સાંભળી અને જાહેરાત કરી કે તેઓ એક પણ પૈસો લીધા વિના આ કેસ લડશે.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
જે કેસથી તમામ વકીલો ભાગી રહ્યા હતા તે કેસ બાબાસાહેબે હાથમાં લીધો અને કોર્ટ પહોંચ્યા. કેસની સુનાવણી શરૂ થતાં સરકારી વકીલે દલીલ કરી કે, “આ લોકો ખેડૂતો નથી પણ સત્યાગ્રહના નામે બ્રિટિશ શાસન સામે બળવો કરનારા દેશદ્રોહીઓ છે. તેમણે પોલીસ પર હુમલો કરી સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો છે, તેથી તેમને ફાંસી અથવા આજીવન કેદ થવી જોઈએ”.
આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા
બાબાસાહેબની ધારદાર દલીલો અને ઐતિહાસિક વિજય
ત્યારબાદ બાબાસાહેબે દલીલો શરૂ કરી. તેમણે સૌથી પહેલા સરકારી વકીલ પર કટાક્ષ કરતા તેમને કાયદાનો બરાબર અભ્યાસ ન કરનારા ગણાવ્યા. તેમણે દલીલ કરી કે, “ચિરનેરના જે ખેડૂતોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે, તેમણે કોઈ હથિયાર પણ ઉપાડ્યા નહોતા. તેઓ તો શાંતિપૂર્ણ રીતે પોતાનો હક માંગી રહ્યા હતા. પોલીસે આ નિઃશસ્ત્ર ભીડ પર ગોળીબાર કરીને પોતાની ક્રૂરતા બતાવી છે અને ગરીબ ખેડૂતોએ તો માત્ર પોતાનો જીવ બચાવવા અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. શું કોઈ ખેડૂત પાસે કોઈ જીવલેણ હથિયાર હતું? આ માત્ર સ્વબચાવ (Self-defense) હતો, કોઈ રાજદ્રોહ નહીં”.
બાબાસાહેબે ઉમેર્યું કે ખેડૂતો તો માત્ર ભૂખથી મરતા પોતાના પરિવારો માટે લડી રહ્યા હતા. તેઓ કોઈ આતંકવાદી નથી, સામાન્ય નાગરિકો છે જેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબાસાહેબની દલીલો સામે અંગ્રેજ સરકારના તમામ સાક્ષીઓ ખોટા સાબિત થયા અને આખરે જજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.
તમામ ખેડૂતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને બાબાસાહેબે ન્યાયનો વિજય અપાવ્યો. બ્રિટિશ સરકારે બનાવેલા કાયદાઓએ જ બાબાસાહેબની આ જીતનો પાયો નાખ્યો હતો. ચિરનેર સત્યાગ્રહ એ બાબાસાહેબની એ ઐતિહાસિક જીતની ગાથા છે, જ્યાં બ્રિટિશ વકીલો પણ તેમની દલીલો સામે લાચાર બની ગયા હતા. બાબાસાહેબે નિર્દોષ ખેડૂતોના જીવ બચાવીને સાચા અર્થમાં ન્યાયનું મૂલ્ય વધાર્યું હતું.
આ પણ વાંચો: ગર્વની ઘડીઃ ન્યૂયોર્કમાં માર્ગને Dr. Ambedkar નું નામ અપાયું











