ગુજરાતમાં સામાજિક પૂર્વગ્રહો અને જાતિવાદી માનસિકતાનો ડંખ હવે માત્ર ભૌતિક દુનિયા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે ડિજિટલ સ્પેસમાં પણ ભયાનક રીતે વિસ્તરી રહ્યો છે. અમદાવાદની જાણીતી દલિત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર હિના મકવાણા સાથે બનેલી તાજેતરની ઘટનાએ સાબિત કરી દીધું છે કે સફળતા કે ફોલોઅર્સની સંખ્યા ગમે તેટલી હોય, પરંતુ જાતિવાદી તત્વો માનસિક સતામણી કરવાનો એક પણ મોકો છોડતા નથી.
મંદિરના વિવાદિત વીડિયો બાદ તૂટી પડ્યા જાતિવાદી ટ્રોલ્સ
સમગ્ર ઘટનાની વિગત અનુસાર, હિના મકવાણાએ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભાડજ સ્થિત હરેકૃષ્ણા મંદિરનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે મંદિરના સેવકો સાથે દલીલ કરતી જોવા મળી હતી, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે મંદિર તરફથી આમંત્રણ આપ્યા બાદ પણ તેને યોગ્ય જગ્યા આપવામાં આવી નહોતી. જોકે, મંદિરના સેવક શ્યામ ચરણ દાસે આમંત્રણ આપવાના દાવાને ફગાવ્યો હતો.

આ પણ વાંચો: જાતિવાદીઓના ગળામાં હાડકું ફસાયું, ‘EWS અનામત હટાવો’ આંદોલન શરૂ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કેટલાંક ટ્રોલે તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે હિનાનો ફોટો લઈને તેને ટ્રોલ કરતો વીડિયો બનાવીને અપલોડ કર્યો હતો. આ ટ્રોલિંગ વીડિયોમાં જાતિવાદી ઝેર ઓકવાનો અસલી ખેલ શરૂ થયો હતો.
ઇન્સ્ટાગ્રામ પર દલિત ઓળખને લક્ષ્ય બનાવી અપમાનજનક ટિપ્પણી
6 Septemberના રોજ આ ટ્રોલિંગ વીડિયો નીચે rohan_shah87 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે હિના મકવાણાની દલિત જાતિને લક્ષ્ય બનાવીને અત્યંત અપમાનજનક અને જાતિસૂચક ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર જાહેરમાં પોતાની સામાજિક ઓળખને કારણે અપમાનિત થતાં હિના મકવાણાએ આ બાબતને હળવાશથી લેવાને બદલે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. તેણે તુરંત અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચીને ટિપ્પણી કરનાર યુઝર સામે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: જીવતા સમાધિ લેવાનું નાટક કરનાર યુવકનું જમીનમાં મોત

‘નાનપણથી જ જાતિવાદ ફેસ કરી રહી છું’ – હિનાની ચોંકાવનારી આપવીતી
પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોતાની આપવીતી જણાવતા હિના મકવાણાએ સમાજની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડી હતી. તેણે જણાવ્યું હતું કે, “હું નાની હતી ત્યારથી જ આ જાતિવાદી પૂર્વગ્રહો ફેસ કરી રહી છું. ડિજિટલ પ્લેટફોર્મ પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ આ માનસિકતાનો સામનો કરવો પડે છે.”
પોતાના ભૂતકાળના કડવા અનુભવો શેર કરતા તેણે ઉમેર્યું હતું કે, “અમે 15 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા છીએ. તે સમયે પણ અમારી દલિત જાતિને કારણે જલ્દી કોઈ મકાન ભાડે આપતું નહોતું. મકાન માલિકો સતત શંકાની નજરે જોતા અને એવી ધમકીઓ આપતા કે જો નોનવેજ ખાશો તો તમને અડધી રાત્રે પણ ઘરની બહાર કાઢી મૂકીશું.”
આ પણ વાંચો: શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?
ડિજિટલ સ્પેસમાં દલિતો સુરક્ષિત કેમ નથી?
આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઈ દલિત કે બહુજન ચેહરો પોતાનો અવાજ ઉઠાવે છે અથવા પોતાની ઓળખ સાથે સામે આવે છે, ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતો વર્ગ તેમની ક્ષમતા કે મુદ્દા પર વાત કરવાને બદલે તેમની જાતિ પર હુમલા કરવા લાગે છે.
હાલમાં પોલીસે આ મામલે FIR નોંધીને rohan_shah87 એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે. હિના મકવાણા અને બહુજન સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે સોશિયલ મીડિયા પર જાતિવાદી ઝેર ઓકતા આવા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ દલિત મહિલા કે યુવકને ડિજિટલ પ્લેટફોર્મ પર આ રીતે ટાર્ગેટ ન બનાવાય.
આ પણ વાંચો: દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, CCTV વાયરલ!











