વડોદરાના વાડી-ચોખંડી વિસ્તારમાં જાહેર ઉત્સવોના નામે ચાલતી દાદાગીરી અને ઉઘાડી લૂંટનો એક કિસ્સો સામે આવ્યો છે. ગણેશોત્સવના નામે 21,000 રૂપિયાનો મોટી રકમનો ફાળો આપવાનો ઇનકાર કરતા જ સ્થાનિક માથાભારે તત્વોએ એક નાના વેપારીના ફૂડ સ્ટોલ પર હુમલો કરી તોડફોડ મચાવી હતી. વાયરલ સીસીટીવી ફૂટેજમાં ગુંડાગીરી સ્પષ્ટ દેખાતી હોવા છતાં, પોલીસે આશ્ચર્યજનક રીતે ગુંડાઓ સામે પગલાં ભરવાને બદલે પીડિત વેપારી અને તેના પરિવાર સામે જ કાયદાનો સંતોષ માની FIR નોંધી દીધી છે.
21 હજારના ફાળાના નામે ઉઘાડી લૂંટ અને હુમલો
ઘટનાની વિગતો અનુસાર, 13 સપ્ટેમ્બર 2026 ના રોજ મોડી રાત્રે 2.00 થી 2.15 વાગ્યાના સુમારે ચોખંડી યુથ ફેડરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ યાત્રા બાદ કેટલાક યુવકો ચોખંડી ખાતે આવેલા એક ફૂડ સ્ટોલ પર પહોંચ્યા હતા. આ યુવકોએ ગણેશોત્સવના ઉજવણીના નામે વેપારી પાસેથી 21,000 રૂપિયાના ફાળાની આકરી માગણી કરી હતી.

આ પણ વાંચો: દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!
વેપારીએ આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી અને વિરોધ કર્યો. દાન એ સ્વેચ્છાએ આપવાની બાબત છે, પરંતુ તહેવારના નામે દાદાગીરી કરતા આ તત્વોએ વેપારીનો ઇનકાર સહન ન કર્યો. વાદવિવાદ વધતા જ આ યુવકોએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને લાકડીઓ વડે વેપારીના પરિવાર પર હુમલો કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આ માથાભારે તત્વોની ગુંડાગીરી અને તોડફોડના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે.
પોલીસ તંત્રની શંકાસ્પદ ભૂમિકા: પીડિત સામે જ FIR!
આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ કાગળો પર કાર્યવાહી કરવાનો વારો આવ્યો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે ફાળો ઉઘરાવનારાઓની દાદાગીરી દેખાઈ રહી છે, પરંતુ વાડી પોલીસે હુમલાખોરો સામે કડક પગલાં ભરવાને બદલે વેપારી સામે જ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનાર 2 BSF જવાનોને 42 વર્ષની કેદ

પોલીસે 44 વર્ષીય જતીન પટણીની ફરિયાદ પરથી ફૂડ સ્ટોલ ચલાવતા મહેશ વિજેન્દ્રસિંઘ વાઘેલા, તેમના પિતા વિજેન્દ્રસિંઘ વાઘેલા અને તેમની માતા સામે FIR દાખલ કરી દીધી છે. પોલીસ ફરિયાદમાં એવો દાવો કરાયો છે કે મહેશ વાઘેલાએ લાકડી વડે હુમલો કરી મીનેશ ઉર્ફે મોટુ પટણીને ઈજા પહોંચાડી હતી. ગુંડાઓની દાદાગીરીનો ભોગ બનેલો દલિત-વંચિત કે સામાન્ય વેપારી પરિવાર હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર બન્યો છે, જ્યારે હપ્તાખોરી કરતા તત્વો ખુલ્લા ફરી રહ્યા છે.
તહેવારોના નામે ગુનાખોરી અને સત્તાધીશોની છત્રછાયા
ગુજરાતમાં ગણેશોત્સવ, નવરાત્રિ કે અન્ય જાહેર ઉત્સવો હવે શ્રદ્ધા કરતા વધુ માથાભારે તત્વો અને સ્થાપિત હિતો માટે ગેરકાયદે વસૂલી (હપ્તાખોરી) નું સાધન બની ગયા છે. સ્થાનિક રાજકારણીઓ અને પહોંચતા લોકોની નજીક હોવાનો દાવો કરતા આ ગુંડાઓ નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને ગરીબ પરિવાર પાસેથી ‘ફરજિયાત દાન’ ના નામે હજારો રૂપિયા ધમકાવીને પડાવે છે.
Chokhandi, Vadodara -the youths went to Rajasthan Kulfi Store and demanded Rs21,000 as chanda for Ganpati celeb. When the shopkeeper clearly refused to pay such a large amount, they became aggressive, entered the premises and caused extensive damage.pic.twitter.com/ndvKW0gzH6
— My Vadodara (@MyVadodara) September 14, 2026
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે નાગરિકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પૂજા-અર્ચના કરવી હોય તો પોતાના પૈસાથી કરો, ગરીબ વેપારીઓની રોજીરોટી છીનવીને કે દાદાગીરી કરીને તહેવારો ન ઉજવાય. ગુજરાત જેવા વેપારી રાજ્યમાં પણ જો નાના દુકાનદારો સન્માનપૂર્વક ધંધો ન કરી શકે અને તેમને 21,000 રૂપિયા જેવા ફાળા માટે માર ખાવો પડે, તો આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો કાળો ડાઘ છે.
આ પણ વાંચો: શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?
ન્યાયની માગ અને વધતો જતો જનાક્રોશ
વડોદરાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ પણ ઘણીવાર સત્તા અને પહોંચ ધરાવતા વર્ગના દબાણ હેઠળ કામ કરે છે. સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં, વાસ્તવિક હુમલાખોરો અને ગેરકાયદે ફાળો ઉઘરાવનારાઓ સામે હજુ સુધી કોઈ સત્તાવાર FIR કે ધરપકડ કરવામાં આવી નથી.
સ્થાનિક વેપારીઓ અને સામાજિક સંગઠનો માગ કરી રહ્યા છે કે તહેવારોના નામે ગુંડાગીરી કરતા તમામ તત્વો સામે જબરદસ્તી નાણાં પડાવવાની કલમો હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ તંત્ર આવા માથાભારે તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે, તો આગામી દિવસોમાં વેપારીઓ પોતાના આત્મસન્માન અને સુરક્ષા માટે રસ્તા પર ઉતરવા મજબૂર બનશે.
આ પણ વાંચો: દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા હત્યા











