મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી

મોદી સરકારની દલિતો, આદિવાસીઓ વિરોધી નીતિઓની છેક UN ની કમિટીએ નોંધ લીધી છે. કમિટીએ ચિંતા વ્યક્ત કરી મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી.
UN slams Modi government

UN ની નસ્લીય ભેદભાવ નાબૂદી સમિતિ (UNCERD) એ ભારતમાં માનવાધિકારોની સ્થિતિ, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ઓબીસી સામે વધી રહેલા ભેદભાવ, હેટ સ્પીચ અને હિંસા અંગે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

કમિટીએ ભારતમાં કાયદો અમલી બનાવતી એજન્સીઓ દ્વારા થતા માનવાધિકાર ઉલ્લંઘનો, ગેરકાયદેસર કસ્ટડી, અત્યાચાર અને દલિતો સામે થતા ગુનાઓ અંગે જવાબદેહી નક્કી કરવા આકરા નિર્દેશો આપ્યા છે. આ આંતરરાષ્ટ્રીય અહેવાલે સાબિત કર્યું છે કે ભારતમાં દલિતો અને વંચિતોની સુરક્ષા માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને વાસ્તવિકતામાં તેમની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ કફોડી બની રહી છે.

કમિટીએ ખાસ કરીને નિર્દેશ કર્યો છે કે દલિતો સામે થતા ગુનાઓમાં માત્ર કાયદાઓ ઘડી દેવા પૂરતા નથી, પરંતુ તેમનું કડક અમલીકરણ થવું જરૂરી છે. દેશમાં બની રહેલી હિંસાની ઘટનાઓમાં તપાસ પ્રક્રિયા અત્યંત ધીમી રહે છે અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા યોગ્ય સહયોગ મળતો નથી. પરિણામે પીડિતોને સમયસર ન્યાય મળતો નથી અને ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની માનવાધિકાર નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

આ પણ વાંચો: “તમે ભણીને શું કરશો, તમારી જાતિ સફાઈ કરવા માટે બની છે..”

સંઘીય મનુવાદી એજન્ડા અને જાતિવાદી રાજનીતિ

આ અહેવાલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની જાતિવાદી રાજનીતિને ખુલ્લી પાડી દીધી છે. સંઘના મનુવાદી એજન્ડાને અનુસરતી શાસક ભારતીય જનતા પાર્ટીની નીતિઓના કારણે દેશમાં મનુસ્મૃતિ આધારિત સોશિયલ ઓર્ડર અને કથિત હિંદુ રાષ્ટ્રની માનસિકતાને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ધર્મના નામે રાજકારણ કરતી સરકાર દલિતો અને આદિવાસીઓને માત્ર ચૂંટણી સમયે મતબેંક તરીકે વાપરે છે, પરંતુ જ્યારે તેમના પર જાતિવાદી તત્વો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે ત્યારે મૌન સેવી લે છે. દેશમાં સમાનતા અને બંધારણીય મૂલ્યોને બાજુ પર મૂકીને મનુવાદી વિચારધારા થાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના પરિણામે દલિતો સામે નફરત અને હિંસાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.

આ પણ વાંચો: UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી

સમાજમાં એક ચોક્કસ વર્ગને સર્વોપરી ગણાવતી માનસિકતાને કારણે દલિતોને મુખ્યધારામાંથી અળગા કરવાનો વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. સરકારી યોજનાઓ કે મોટી વાતો વચ્ચે જમીની વાસ્તવિકતા એ છે કે દલિતોને આજે પણ સામાજિક સમાનતા, શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. સત્તાધારી પક્ષ દ્વારા જાતિવાદી તત્વો સામે આકરા પગલાં લેવાને બદલે તેમને રાજકીય સંરક્ષણ આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ સતત થઈ રહ્યા છે, જેના કારણે સામાજિક તાણાવાણા છિન્નભિન્ન થઈ રહ્યા છે.

અહેવાલ ફગાવવાની સરકારની નીતિ અને જવાબદેહીનો અભાવ

UN કમિટીની 11 મી બેઠકમાં ઓગસ્ટ 11 અને 12, 2026 ના રોજ થયેલી સમીક્ષા બાદ આવેલા આ તારણોને ભારત સરકારે “રાજકીય પ્રેરિત” અને “દુર્ભાવનાપૂર્ણ” ગણાવીને ફગાવી દીધા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સત્તાવાર ધોરણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દેશની બંધારણીય જોગવાઈઓનો હવાલો આપ્યો છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર અહેવાલો ફગાવી દેવાથી કે માત્ર કાગળ પરની બંધારણીય સુરક્ષા બતાવવાથી દેશની કડવી વાસ્તવિકતા બદલાઈ જશે?

આ પણ વાંચો: ગુજરાતમાં બૌદ્ધ સંઘના બંધારણમાં ત્રીજો ઐતિહાસિક સુધારો કરાયો

સરકારી આંકડા અને કાગળ પરના બંધારણીય રક્ષણની વાતો વચ્ચે જમીની હકીકત એ છે કે દલિતો અને વંચિતો આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. દંડમુક્તિના વાતાવરણમાં ગુનેગારો બેફામ બન્યા છે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીમાં પક્ષપાત દૂર થવો જોઈએ. જ્યારે પણ કોઈ દલિત પર અત્યાચાર થાય છે ત્યારે એફઆઈઆર નોંધાવવાથી લઈને ન્યાય મળવા સુધીની પ્રક્રિયામાં અનેક વિઘ્નો ઊભા કરવામાં આવે છે. સરકારની આ નકારાત્મક માનસિકતા અને પોતાની નિષ્ફળતાઓ સ્વીકારવાને બદલે અહેવાલોને ફગાવી દેવાની નીતિ બાબાસાહેબના બંધારણીય મૂલ્યોનું અપમાન છે.

માનવાધિકારોની વૈશ્વિક છબીને પહોંચેલો ફટકો

આ આંતરરાષ્ટ્રીય અહેવાલમાં માત્ર દલિતો જ નહીં, પરંતુ બંગાળી ભાષી મુસ્લિમો અને રોહિંગ્યા શરણાર્થીઓ સામેના ભેદભાવ અને સમૂહ સ્થળાંતર અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ કે શરણાર્થીને એવી જગ્યાએ પાછા મોકલી શકાય નહીં જ્યાં તેમના જીવને જોખમ હોય. પરંતુ ભારત સરકાર આ તમામ વૈશ્વિક નિયમો અને માનવતાવાદી ધોરણોને નેવે મૂકીને કઠોર વલણ અપનાવી રહી છે.

સુપ્રિમ કોર્ટ અને આંતરરાષ્ટ્રીય મંચો પર માનવાધિકારની રક્ષાની વાતો કરતી સરકાર વાસ્તવમાં પોતાના જ દેશના નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. જો દેશમાં મનુવાદી માનસિકતા, વંશીય ઉત્પીડન અને જાતિવાદી અત્યાચારો પર તાત્કાલિક લગામ નહીં લગાવાય, તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની લોકતાંત્રિક અને માનવતાવાદી છબીને વધુ મોટું નુકસાન પહોંચશે. દેશમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે સરકારે આંતરરાષ્ટ્રીય કમિટીના તારણો પર આત્મમંથન કરી કડક પગલાં ભરવાની તાતી જરૂરિયાત છે.

આ પણ વાંચો: દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x