અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં શ્રદ્ધાળુઓના ચઢાવા અને દાનની કથિત હેરાફેરીનો મામલો હવે કાયદાકીય વળાંક લઈ ચૂક્યો છે. કરોડો રૂપિયાના દાનની ચોરીના વિવાદ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે(Champat Rai) 26 જૂન 2026 ના રોજ પોતાના પદ પરથી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. આ સમગ્ર વિવાદ અને રાજીનામાની પૃષ્ઠભૂમિ વચ્ચે, ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી (Yeti Narasimhanand) એ ચંપત રાય પર અત્યંત ગંભીર, અભદ્ર અને વ્યક્તિગત આક્ષેપો કર્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
યતિ નરસિંહાનંદના સનસનાટીપૂર્ણ આક્ષેપો
મહંત યતિ નરસિંહાનંદે એક વીડિયો નિવેદન જાહેર કરીને ચંપત રાયના અંગત જીવન અને ચારિત્ર્ય પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ચંપત રાય પાસે કોઈ ડ્રાઈવર નથી હોતા, પરંતુ ‘લાઈફ પાર્ટનર અને બોયફ્રેન્ડ’ હોય છે. નરસિંહાનંદે વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યાલયમાં રહેતી વખતે પણ ચંપત રાય ‘છોકરાઓ વિના સૂતા નહોતા’. રામ મંદિર દાન ચોરી વિવાદ પર બોલતા મહંતે ઉમેર્યું કે, ચંપત રાય આ ચોરી પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ પોતાની સંસ્થા અને આકાઓ માટે કરે છે. તેમણે પોતે સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાનમાં રહેતા હોવાને નાતે આ તમામ બાબતોના સાક્ષી હોવાનો દાવો પણ કર્યો છે.

આ પણ વાંચો: સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું
ચંપત રાયની ભૂમિકા અને રાજીનામું
ચંપત રાય વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા રહ્યા છે અને રામ મંદિર આંદોલનમાં તેમની કેન્દ્રીય ભૂમિકા હતી. 1975ની કટોકટી દરમિયાન RSS સાથે જોડાણના કારણે તેઓ 18 મહિના જેલમાં પણ રહ્યા હતા. તેઓ અવિવાહિત છે અને પોતાનું જીવન આ આંદોલનને સમર્પિત કર્યું હતું. તાજેતરમાં 7 જૂન 2025ના રોજ અખિલેશ યાદવે દાનમાં કરોડો રૂપિયાની હેરાફેરીના આક્ષેપો કર્યા હતા, જેની તપાસ માટે 13 જૂને SIT રચાઈ હતી. SITના અહેવાલમાં અનિયમિતતાઓ સામે આવ્યા બાદ ૨૫ જૂને FIR નોંધીને ચંપત રાયના નજીકના ગણાતા રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દબાણ અને વિવાદ વચ્ચે ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ 26 જૂને રાજીનામું આપવું પડ્યું હતું.
આરોપી યતિ નરસિંહાનંદનો વિવાદિત ઇતિહાસ
ચંપત રાય પર અભદ્ર ટિપ્પણી કરનાર યતિ નરસિંહાનંદ સરસ્વતીનો વિવાદો સાથે જૂનો નાતો છે. રશિયાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી બ્રિટનમાં નોકરી કરનાર દીપક ત્યાગી છેલ્લા 25 વર્ષથી ડાસના મંદિરના મહંત છે અને વર્ષ 2021માં જૂના અખાડાએ તેમને મહામંડલેશ્વરની ઉપાધિ પણ આપી હતી. તેઓ અગાઉ પણ હેટ સ્પીચ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જેલ જઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: જસદણના વડોદમાં ડૉ.આંબેડકરના બોર્ડનો વિવાદ: દલિત આગેવાને ફિનાઈલ પીધું

અગાઉ ડિસેમ્બર 2021માં હરિદ્વાર ધર્મ સંસદ દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ હિંસા ભડકાવવાના અને હેટ સ્પીચના આરોપસર ઉત્તરાખંડ પોલીસે જાન્યુઆરી 2022માં તેમની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, હરિદ્વારમાં આયોજિત અન્ય એક કાર્યક્રમમાં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવાના કેસમાં પણ તેઓ જેલના સળિયા પાછળ જઈ ચૂક્યા છે. તે જ રીતે વર્ષ 2022માં અલીગઢમાં કુરાન, મદ્રેસાઓ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) અંગે વિવાદિત નિવેદનો બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો.
હાલમાં, રામ મંદિર દાન કૌભાંડની તપાસ ઉચ્ચ સ્તરે ચાલી રહી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આ કૌભાંડના મુખ્ય મુદ્દાની સાથે-સાથે યતિ નરસિંહાનંદ દ્વારા ચંપત રાયના અંગત જીવન પર કરવામાં આવેલા આ સનસનાટીપૂર્ણ આક્ષેપોએ દેશભરના રાજકારણ અને ધાર્મિક સંગઠનોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: “દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”











