દિલ્હી વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ્યારે ગૃહમંત્રી અમિત શાહનું બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પરનું વિવાદાસ્પદ નિવેદન મુદ્દો બની રહ્યું હતું, ત્યારે ભાજપમાં દલિત મતદારોને લઈને ચિંતા હતી. ભાજપ માટે આ એક મોટો પડકાર હતો, કારણ કે છેલ્લી બે ચૂંટણીઓમાં દિલ્હીમાં SC અનામત બેઠકો (SC Reserve Seats In Delhi) માંથી એક પણ જીતી શકી ન હતી. પરંતુ શનિવારે જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે ભાજપે 12 SC અનામત બેઠકો પૈકી 4 બેઠકો જીતી લીધી હતી. દિલ્હીમાં SC સમાજની વસ્તી લગભગ ૧૬ ટકા છે અને ઘણી બેઠકો પર તે ૪૪ ટકા સુધી છે. તો પ્રશ્ન એ છે કે, શું ભાજપે જીતેલી કુલ ૪૮ બેઠકોમાં દલિત મતદારોનો પણ મોટો ફાળો છે? જો એમ હોય તો સવાલ એ પણ થાય કે ડૉ.આંબેડકરના ભરી સભામાં થયેલા અપમાન પછી પણ ભાજપે દલિત મતોમાં કેવી રીતે ગાબડું પાડ્યું?
આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા આપણે એ જાણવું જોઈએ કે દિલ્હી ચૂંટણીના પરિણામો શું આવ્યા છે અને ચૂંટણી પહેલાં અમિત શાહના ડૉ. આંબેડકર પરના નિવેદન પછી દલિત સમાજને લઈને શું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત નોંધાવી છે. ભાજપે 48 બેઠકો જીતી છે અને AAPએ 22 બેઠકો જીતી છે. કેજરીવાલ, સિસોદિયા જેવા AAP ના મુખ્ય નેતાઓ પણ ચૂંટણી હારી ગયા. કોંગ્રેસ ફરી એકવાર ખાતું ખોલાવી શકી નહીં. દિલ્હીમાં અનુસૂચિત જાતિ (SC) માટે અનામત 12 બેઠકોમાંથી ભાજપે ચાર બેઠકો જીતી છે. બાકીની 8 બેઠકો પર AAPએ જીત મેળવી છે.
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ એક પણ SC અનામત બેઠક જીતી શક્યું નથી. ૨૦૧૫ અને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં AAP એ તમામ એસટી અનામત ૧૨ બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે તે 8 બેઠકો પર અટકી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે અમિત શાહના ડૉ. આંબેડકર પરના વિવાદાસ્પદ નિવેદન પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે દલિતો ભાજપથી નારાજ છે.
કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ અને દલિત અધિકારો સાથે સંકળાયેલા લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા નિવેદન પર હોબાળો મચાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે – ‘હવે તો ફેશન બની ગઈ છે – આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત જન્મો માટે સ્વર્ગ પ્રાપ્ત થયું હોત.’ બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર પરના નિવેદનને કારણે ગૃહમંત્રી અમિત શાહ મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે પહેલા માફીની માંગ કરી હતી, પછી તેમના રાજીનામાની માંગ કરી હતી અને પછી તેમને બરતરફ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દલિત નેતામાં વિશ્વાસ હોય તો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ.
આ મુદ્દાથી ભાજપને કેટલું નુકસાન થયું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમિત શાહ રાજ્યસભામાં ડૉ. બી.આર. આંબેડકર પરની તેમની ટિપ્પણી અંગે સતત સ્પષ્ટતા આપતા ફરી રહ્યા હતા.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એવી પાર્ટીમાંથી આવે છે જે ક્યારેય આંબેડકરના વારસાનું અપમાન કરશે નહીં. તેમણે કોંગ્રેસ પર તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે ચાર અન્ય કેન્દ્રીય મંત્રીઓ – જેપી નડ્ડા, કિરેન રિજિજુ, પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ પણ વાંચો: AAP એ હિન્દુત્વવાદી મતદારો તૈયાર કર્યા, પરિણામ તમારી સામે છે
દિલ્હીની ચૂંટણી પહેલા જ્યારે ભાજપની દલિત વોટબેંક પહેલેથી જ ખસકી રહી હતી ત્યારે આ વિવાદ ઉભો થયો. CSDS ના ડેટા અનુસાર રાષ્ટ્રીય સ્તરે 2019 ની લોકસભા ચૂંટણીની તુલનામાં 2024 માં ભાજપે 3% દલિત મત ગુમાવ્યા હતા. ભાજપના સાથી પક્ષોએ પણ 2% સમર્થન ગુમાવ્યું હતું. રાજ્ય સ્તરના ડેટા દર્શાવે છે કે યુપીમાં દલિતોમાં ભાજપના સમર્થનમાં તીવ્ર ઘટાડો થયો છે અને અન્ય રાજ્યોમાં નજીવો ઘટાડો થયો છે.
તો સ્વાભાવિક છે કે દિલ્હીની ચૂંટણી પહેલા ભાજપ માટે દલિત મતોને પોતાની તરફ વાળવા એક મોટો પડકાર હતો. ખાસ કરીને એટલે કે દલિત સમાજ દિલ્હીની વસ્તીના ૧૬ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે અને 12 બેઠકો પર પરિણામ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, આ ૧૨ અનામત બેઠકોમાં – સુલતાનપુર માઝરા, મંગોલપુરી, કરોલ બાગ, પટેલ નગર, માદીપુર, દેવલી, આંબેડકર નગર, ત્રિલોકપુરી, કોંડલી, સીમાપુરી, ગોકલપુર અને બવાનાનો સમાવેશ થાય છે.
અનામત બેઠકોમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી વિસ્તારો છે, જ્યાં ભૂતકાળમાં AAP તેની લોકપ્રિય યોજનાઓને કારણે તેના હરીફો પર પ્રભુત્વ ધરાવતી હતી. ઝૂંપડપટ્ટીવાસીઓને પરંપરાગત રીતે કોંગ્રેસ સમર્થક માનવામાં આવતા હતા, ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન. પરંતુ AAP 2013 અને 2015માં મોહલ્લા ક્લિનિક્સ, વીજળી અને પાણીના બિલમાં ઘટાડો અને ઝૂંપડપટ્ટીમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા જેવી અનેક નીતિઓ દ્વારા તેમને આકર્ષવામાં સફળ રહી.
2025ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે તેમની સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. દલિત મતદારો સુધી પહોંચવા માટે દલિત સમાજના નેતાઓ, મંત્રીઓ, સંગઠનાત્મક સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે દલિતોને ભાજપ સાથે જોડવા માટે અનેક કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા.
ભાજપે સ્વાભિમાન પરિષદોનું આયોજન કર્યું, દલિત સમાજના મહત્વપૂર્ણ લોકો સાથે બેઠકો યોજી. પાર્ટીના દિલ્હી એકમે ‘પ્રવાસ’ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જ્યાં નેતાઓ અને કાર્યકરો ઝૂંપડપટ્ટીમાં રાત રોકાયા હતા અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ સમજી હતી. ભાજપે વચન આપ્યું હતું કે જો તે દિલ્હીમાં સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં
ઝૂંપડપટ્ટીવાસીઓને ઘરો ફાળવવામાં આવશે. તેણે AAP પર 8,000 જેટલા તૈયાર ઘરોની ચાવીઓ તેના યોગ્ય લાભાર્થીઓને ન સોંપવાનો આરોપ મૂક્યો હતો.
ભાજપ દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો દલિત મતદારો પર કેટલો પ્રભાવ પડ્યો તે તો કોઈ ચોક્કસ સર્વેક્ષણ પછી જ ખબર પડશે, પરંતુ જે રીતે ભાજપે દિલ્હીમાં 70 માંથી 48 બેઠકો અને 4 અનામત બેઠકો જીતી છે, તે ચોક્કસપણે સૂચવે છે કે તેણે આપથી નારાજ દલિત મતદારો કોંગ્રેસ તરફ જઈ પોતાનો મત વેડફતા કરતા ભાજપ સાથે જોડાવાનું પસંદ કર્યું હતું. જો કે, સામે આપે 8 એસસી બેઠકો જાળવી રાખી છે, તે એ પણ સૂચવે છે કે, દલિતોનો મોટો વર્ગ હજુ પણ ભાજપ અને તેની દલિત અને અનામત વિરોધી નીતિઓને સારી રીતે સમજે છે, તેથી તેનાથી દૂર જ રહે છે.
આ પણ વાંચો: દિલ્હીના દલિતોના દિલ પર કોનું રાજ? જાણો 12 SC સીટોનું પરિણામ
દલિત સમાજ માં ગરીબી હોવાથી, નાના મોટા પ્રલોભનો માં ખુબ જલ્દી થી આવી જાય છે ……..આંબેડકરવાદી મિત્રો વોટ નું મુલ્ય સમજાવવાનો ઘણો પ્રયાસ કરે છે ……….તેમ છતાં હજી વોટ નું મુલ્ય શું છે……વોટ શું કરે છે ……વોટ એ ડોકટર આંબેડકર સાહેબે આપેલું હથિયાર છે ….તે હજી દલિત સમાજ યોગ્ય રીતે સમજ્યો નથી …..નહીતર ભારતભર માં ખુલ્લે આમ અનામત વિરોધી, ડો. આંબેડકર વિરોધી મુહિમ ચલાવતા ભાજપીઓ ને દલિતો ના વોટ મળે નહિ …