ગુજરાતમાં એકબાજુ ન્યાયની આશાએ હજારો કેસો કોર્ટોમાં પેન્ડિંગ પડ્યા છે, અનેક લોકો ન્યાયની આશામાંને આશામાં મોતને ભેટી જાય છે, છતાં તેમને ન્યાય મળતો નથી. પરંતુ અમરેલીની કોર્ટે ગાયને ન્યાય આપી દીધો છે. મળતી માહિતી મુજબ અમરેલીની કોર્ટે ગૌહત્યાને લઈને 2023ના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અમરેલી સેશન્સ કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મામલો શું હતો?
મામલો 6 નવેમ્બર 2023નો છે અને ઘટના અમરેલી શહેરમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલી મોટી ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા. જો કે, બાદમાં પોલીસે તે બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીના મકાનમાંથી પશુના કતલ કરેલા અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
અમરેલી સેશન્સ કોર્ટનો આકરો નિર્ણય
અમરેલી સેશન્સ કોર્ટેના જજ રીઝવાના બુખારીએ આ સમગ્ર મામલે સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની દલીલો અને પુરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને આ કડક સજા સંભળાવી હતી. જજે પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા ભોગવવી પડશે.
આ ઉપરાંત, કલમ 6(ખ) હેઠળ 7 વર્ષની સજા અને દરેક આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. આમ અલગ અલગ કલમો હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં ગૌવંશ કતલના કેસમાં આપવામાં આવેલો પ્રથમ આજીવન કેદનો ચુકાદો છે.
આ પણ વાંચો: મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી











Users Today : 1723