Dalit News Mehsana: મહેસાણા જિલ્લાના કડી(Kadi) તાલુકાના એક ગામની 14 વર્ષની દલિત દીકરીને(dalit minor girl rape) ભગાડી જઈ અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દેનાર 40 વર્ષના આરોપી હાર્દિક બજાણિયા નામના આરોપીને કોર્ટે એટ્રોસિટી એક્ટ(SC-ST Act) અને પોક્સો(POCSO) હેઠળ 20 વર્ષની આકરી સજા ફટકારી છે.
મામલો શું હતો?
આ કેસની મળતી માહિતી મુજબ, કડી તાલુકાના એક ગામનો 40 વર્ષનો શખ્સ હાર્દિક બજાણિયા પરિણિત હોવા છતાં દલિત સમાજની એક 14 વર્ષની દીકરીને લલચાવી, ફોસલાવીને છ મહિના અગાઉ ભગાડીને લઈ ગયો હતો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ સગીરા પર વારંવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. જેનાથી સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આ મામલે કેસ નોંધાતા હવે આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે.

જુલાઈ 2024માં ઘટના સામે આવી હતી
આ ઘટના વર્ષ 2024માં બની હતી. તા. 24-7-2025ના રોજ સગીરાના માતાપિતા મજૂરીએ ગયા હતા અને તેનો ભાઈ ભણવા ગયો હતો. એ દરમિયાન આરોપી હાર્દિક બજાણિયા સગીરાના ઘરે પહોંચી ગયો હતો અને તેને લલચાવી, ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. આરોપી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને તેના પર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. સાંજે સગીરાના માતાપિતા મજૂરીએથી ઘરે આવ્યા ત્યારે તેમને દીકરી હાજર ન હોવાની જાણ થઈ હતી. એ પછી તેમણે આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ કરી હતી પરંતુ સગીરા મળી નહોતી. બીજા દિવસે આરોપી હાર્દિક બજાણિયાએ પોતાની હવસ સંતોષીને સગીરાને કાઢી મૂકી હતી. જેથી સગીરા જેમતેમ કરીને પોતાના ઘરે આવી હતી.
આ પણ વાંચો: ‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો

મેડિકલ ચેકઅપ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું ખૂલ્યું
સગીરા ઘરે પરત આવી ગયા બાદ તારીખ 26/7/2024 ના રોજ નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ અને શાંતાબેન સુધી આખો મામલો પહોંચ્યો હતો. તેમણે સગીરાના પરિવારને સાથે રાખીને કડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. તેના ત્રણ દિવસ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
એ દરમિયાન સગીરાનું મેડિકલ ચેક અપ કરાવતા ખ્યાલ આવ્યો હતો કે તેને 4 મહિનાનો ગર્ભ છે. આ બાબતે સગીરાની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો હતો કે, આરોપી છેલ્લા એક વર્ષથી સગીરાનો પરિવાર ઘરે ન હોય ત્યારે તેના ઘરે આવતો હતો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને સગીરા પર બળાત્કાર ગુજારતો હતો. જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
મહેસાણા સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતા તારીખ 15/11/25 ના રોજ કોર્ટે BNSની કલમ 137 (2) અને 87 મુજબ 7 વર્ષની સજા તથા POCSO એક્ટ ની કલમ હેઠળ 10 વર્ષની સજા અને એટ્રોસિટી એક્ટ(SC-ST ACT)ની કલમ 3(2)5 માં 5 વર્ષની મળીને કુલ 20 વર્ષની સજા ફટકારી હતી. એટલું જ નહીં, કોર્ટે સગીરાને વળતર તરીકે રૂ. 1,50,000 લાખ આપવાનો પણ હુકમ કર્યો છે.
આ પણ વાંચો: દલિત મહાસંઘના પ્રમુખની જન્મદિવસે હત્યા, ટોળાએ આરોપીને પતાવી દીધો
નવસર્જનના કાર્યકરોએ એટ્રોસિટીના અનેક કેસો ઉકેલ્યા
દલિત સગીરા અને તેના પરિવારને ન્યાય અપાવવામાં નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોનો મોટો ફાળો રહ્યો હતો. મહેસાણા નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ પરમાર અને શાંતાબેને દલિત સગીરાના પરિવારને એફઆઈઆર નોંધાવવાથી માંડીને આરોપીને સજા થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં મદદ કરી હતી. વર્ષ 2024-25માં નવસર્જન ટ્રસ્ટના આ બંને કાર્યકરોએ એટ્રોસિટી એક્ટના અલગ અલગ 4 કેસોમાં આરોપીઓને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમ કે, (1)કડી તાલુકાના કણજરી ગામના આરોપીને 3.5 વર્ષની સજા કરાવી (2) કડીના ભાયઠી ગામ એટ્રોસિટીના આરોપીને 3 વર્ષની સજા કરાવી (3)કડીના નરસીપુરા ગામના એટ્રોસિટીના આરોપીને 3.5 વર્ષની સજા કરાવી અને (4) બનાસકાંઠાના વડગામના ધોતા ગામની સગીરા અપહરણના કેસમાં આરોપીને 20 વર્ષની સજા કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સિવાય પણ અત્યાર સુધીમાં એટ્રોસિટીના અનેક મોટા કેસોમાં પીડિત પરિવારોની પડખે ઉભા રહીને આરોપીને આકરી સજા કરાવી પીડિતોને ન્યાય અપાવ્યો છે.
(વિશેષ માહિતીઃ ભરતભાઈ પરમાર, શાંતાબેન પરમાર, કડી)
આ પણ વાંચો: દલિત યુવતીનું ગળું કાપીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી










