Dalit News: મેરઠમાં એક દલિત મહિલાની હત્યા બાદ રાજપૂત જાતિનો યુવક તેની પુત્રીનું બળજબરથી અપહરણ કરીને ઉપાડી ગયો હોવાને મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. દલિત નેતાઓએ સીધો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ લગાવ્યો છે કે, આરોપી મુખ્યમંત્રીની જાતિનો હોવાથી કોઈ કાર્યવાહી નથી થઈ રહી, જો દલિત, ઓબીસી કે મુસ્લિમ હોત તો ક્યારનું તેના ઘર પર જેસીબી ફરી વળ્યું હોત.
ઉલ્લેખનીય છે કે, મેરઠના કાપસાડ ગામમાં, એક રાજપૂત-ઠાકુર જાતિના યુવકે એક દલિત છોકરીનું અપહરણ કર્યું છે. જ્યારે છોકરીની માતાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, તો આરોપીએ તેને કુહાડી મારી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં લગભગ પાંચ કલાકની સારવાર પછી તેણીનું મોત થયું હતું. આ ઘટના બાદ સરધના વિસ્તારમાં દલિત રાજકારણ તેજ બન્યું છે. અનેક રાજકીય પક્ષોના નેતાઓ પીડિતાના પરિવારને સાંત્વના આપવા માટે મળી રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર આ કેસ અંગે તીખા નિવેદનો અને પ્રતિક્રિયાઓનો દોર ચાલુ છે.

આરોપી ઠાકુર હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી: ડૉ. ઓમ પ્રકાશ
ઉત્તર પ્રદેશમાં આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ડૉ. ઓમ પ્રકાશ જાટવે જણાવ્યું હતું કે, “જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને આરોપી હજુ પણ ફરાર છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યમાં ગુનાનું સ્તર કેટલું ઉંચું છે. વધુમાં, આ ઘટનામાં કાર્યવાહી ન થવાનું બીજું એક મોટું કારણ એ છે કે મુખ્ય આરોપી ઠાકુર જાતિનો છે.
આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

આરોપીને આ વિસ્તારના એક ઠાકુર નેતાનું પીઠબળ છે, અને રાજ્યમાં ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે એટલે આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જો આરોપીઓ અન્ય કોઈ સમાજના હોત, તો ટ્રિપલ એન્જિન સરકારના બુલડોઝર તેના ઘર પર ફરી વળ્યા હોત. આ સરકાર જાતિવાદી અને દલિત વિરોધી છે.
આરોપીઓ સામે NSA હેઠળ કાર્યવાહી થવી જોઈએઃ અતુલ પ્રધાન
સરધનાના ધારાસભ્ય અતુલ પ્રધાને કહ્યું, “એક માતા પોતાની પુત્રીને લઈને ખેતરમાં જઈ રહી હોય અને કોઈ તેનું અપહરણ કરીને માતાની હત્યા કરી નાખે છે તેનાથી વધુ દુ:ખદ ઘટના બીજી કોઈ ન હોઈ શકે. આ ઘટનાથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે અને આરોપીઓને હિંમત કેટલી ખૂલી ગઈ છે તેનો ખ્યાલ આવે છે.
હું એવી પણ માંગ કરું છું કે આરોપીઓ પર ઓછામાં ઓછું NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવે. વધુમાં, આપણી પોલીસ અને સરકાર જે કાર્યવાહીમાં નિષ્ણાત છે તે પણ આ ઘટનાના આરોપીઓ સામે કરવામાં આવે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે. જે જમીનવિહોણો, ગરીબ પરિવાર લોન લઈને પોતાની પુત્રીના લગ્ન કરાવવા જઈ રહ્યો હતો તેને ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની આર્થિક સહાય અને સરકારી નોકરી મળવી જોઈએ.”
આ પણ વાંચો: કિંજલ દવેનો જાતિવાદી તત્વોને જવાબ, કહ્યું, ‘કાયદેસર પગલા લઈશ’
બાબાનું બુલડોઝર દલિતોની તરફેણમાં કેમ નથી ચાલતું? – યોગેશ વર્મા
હસ્તિનાપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી નેતા યોગેશ વર્માએ પૂછ્યું કે, બુલડોઝર બાબા તરીકે ઓળખાતી સરકાર હવે કેમ ચૂપ છે. બુલડોઝર ઠાકુર જાતિના આરોપીના ઘરે નથી જતું, કેમ કે તે મુખ્યમંત્રીની જાતિનો છે. એક દલિત યુવતીને ઉપાડી જનાર અને જાહેરમાં તેની માતાની હત્યા કરી દેનાર આરોપીના ઘરે બુલડોઝર કેમ નથી પહોંચતું?
આ સરકારના ઈશારે પોલીસ હાફ અને ફૂલ એન્કાઉન્ટર કરે છે, પરંતુ આ કેસમાં આવું નહીં થાય, કારણ કે આરોપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાતિનો છે. પોલીસે આવા આરોપીઓની ધરપકડ પણ ન કરવી જોઈએ, પરંતુ તેમનો એવો પાઠ શીખવવો જોઈએ કે તે મિસાલ બને. અમે અમારા દલિત સમાજની સાથે છીએ અને પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે કામ કરીશું.
આ પણ વાંચો: મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!
ધરપકડ કરાયેલા લોકો સામે બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ – ડૉ. રવિ પ્રકાશ
ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. રવિ પ્રકાશે જણાવ્યું હતું કે જાહેરમાં એક યુવતીનું અપહરણ કરી તેની માતાની હત્યા કરી નાખવામાં આવે એ ખૂબ જ નિંદનીય ઘટના છે. આ સરકાર હેઠળ પોલીસ વહીવટીતંત્રને જેટલી છૂટ આપવામાં આવી છે તેટલી ક્યારેય આપવામાં આવી નથી.
પોલીસે શક્ય તેટલી વહેલી તકે છોકરીને શોધી કાઢવી જોઈએ અને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. હું એવી પણ માંગ કરું છું કે આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. જો આ જલ્દી નહીં થાય, તો અમે અમારા સમાજ જે પણ નિર્ણય લેશે તેનું સમર્થન કરીશું.
આ પણ વાંચો: કથાકારે સગીરા પર રેપ કર્યો અને બે વાર ગર્ભપાત કરાવ્યો!










