ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ હેઠળ આવતા બોરીગાંવઠા ગામ નજીક લાકડા તસ્કરી અટકાવવા ગયેલા વનકર્મીની તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકારમાં ફરજ બજાવી રહેલા વનકર્મી પર 3 જેટલા તસ્કરોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે વન વિભાગમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી છે.
મળતી માહિતી મુજબ, વઘઇ રેન્જમાં ગેરકાયદે લાકડાની કાપણી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતા વનકર્મી સનત બિરારી રાત્રિના સમયે તપાસ માટે નીકળ્યા હતા. બોરીગાંવઠા ગામની સીમમાં 3 શખ્સો લાકડાની ચોરી કરતા નજરે પડ્યા હતા. સનત બિરારીએ આ તસ્કરોને રોકવાનો અને પકડવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા તસ્કરોએ પોતાની પાસે રહેલા ધારદાર હથિયારો વડે વનકર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલો એટલો ગંભીર હતો કે સનત બિરારી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી કોઈ મદદ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ જંગલના અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: વડગામના નળાસરમાં આદિવાસી યુવકને હડકવા ઉપડતા કરડવા દોડ્યો

ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વઘઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક વનકર્મીના સાથી કર્મચારી હરેશ ચૌધરીએ આ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. શંકાસ્પદ વિસ્તારો અને નજીકના ગામોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જંગલ અને વન્યજીવોના રક્ષણ માટે રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવતા વનકર્મીની હત્યાએ વન વિભાગના સ્ટાફની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. સ્થાનિકો અને વનકર્મી મંડળો દ્વારા માંગ કરવામાં આવી છે કે આરોપીઓને વહેલી તકે પકડી કડક સજા કરવામાં આવે અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે.
આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા













