અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખોડીયાર માતાનો રથ લઈને દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓને એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રદ્ધાળુઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ખોડીયાર માતાના દર્શને જતા કાળ ભેટી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાથી શ્રદ્ધાળુઓનો એક મોટો સંઘ માતાજીનો રથ લઈને ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે પગપાળા જઈ રહ્યો હતો. શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે નીકળેલા આ માઈભક્તો દિવસ-રાત પદયાત્રા કરીને માતાજીના દ્વારે પહોંચવા આતુર હતા. રવિવારની મોડી રાત્રે આ પદયાત્રીઓ જ્યારે બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી આવી રહેલા એક બેફામ વાહનચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓ રોડ પર ફંગોળાયા હતા અને માતાજીના રથને પણ ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ
આ હિટ એન્ડ રનની ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે અકસ્માત સર્જ્યા બાદ માનવતા બતાવવાને કે ઉભા રહેવાને બદલે અજાણ્યો વાહનચાલક અંધારાનો લાભ લઈને પોતાના વાહન સાથે પૂરઝડપે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાઈવે પર લોહીલુહાણ હાલતમાં પડેલા પદયાત્રીઓને જોઈ અન્ય વાહનચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ ઉભી રાખી હતી અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ઘાયલોનો હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની ગંભીરતાને જોતા 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે પદયાત્રીઓને તાત્કાલિક બગોદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તપાસ બાદ એક પદયાત્રીને મૃત જાહેર કર્યા હતા. અન્ય એક પદયાત્રીની હાલત અત્યંત નાજુક જણાતા અને શરીરે અનેક ફ્રેક્ચર તેમજ આંતરિક ઇજાઓ હોવાથી તેમને વધુ સઘન સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. મૃતક પદયાત્રીના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવતા મહેસાણામાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: રાજામૌલીના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
બગોદરા પોલીસ મથકનો કાફલો અકસ્માતની જાણ થતા જ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરીને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. ફરાર થઈ ગયેલા વાહનચાલકને પકડવા માટે પોલીસે કમર કસી છે. હાઈવે પર આવેલા વિવિધ પેટ્રોલ પંપ, હોટલો અને ટોલ નાકાના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
થાકને કારણે વાહનચાલકને ઝોકું આવી ગયાની આશંકા
પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન અને બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે વાહનચાલક નશાની હાલતમાં અથવા તો અતિશય થાકને કારણે ઝોકું આવી જવાને લીધે પદયાત્રીઓને જોઈ શક્યો ન હતો. રાત્રિના સમયે હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેક્ટર જેકેટ અને અન્ય સાવચેતીના સાધનો હોવા છતાં આવા અકસ્માતો વાહનચાલકોની બેજવાબદારીને કારણે બનતા રહે છે. મા ખોડલના દર્શને પહોંચે તે પહેલા જ એક ભક્તનો ભોગ લેવાતા પદયાત્રા સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 94 ટકા વિધવાઓનું પેન્શન છીનવાયું, 46 હજારથી વધુ નામ ‘ડીલિટ’











