અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ

Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.
Ayodhya fire

Ayodhya fire: રામનગરી અયોધ્યામાં સરયૂ નદીના તટ પર આવેલા રાજઘાટ વિસ્તારમાં છેલ્લા નવ દિવસથી શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગમાં 1251 હવન કુંડ અને મંડપ સહિત યજ્ઞનું આખું સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું હતું. આજે આ યજ્ઞનો છેલ્લો દિવસ હતો અને તેમાં યોગી સરકારના મંત્રીઓ અને મોટા નેતાઓ ભાગ લેવાના હતા. જો કે, નેતાઓ યજ્ઞમાં ભાગ લે, તે પહેલા જ આગ લાગતા બધું બળીને ખાખ થઈ ગયું હતું. આ યજ્ઞનું આયોજન યુપી સરકારના વાહનવ્યવહાર મંત્રી દયાશંકર સિંહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પૂર્ણાહુતિના સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. હવનકુંડમાંથી ઉડેલા એક તણખાએ જોતજોતામાં સૂકા ઘાસ અને કપડાના મંડપને ઝપેટમાં લઈ લીધો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. યજ્ઞશાળામાં હાજર હજારો શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં યજ્ઞશાળાની સાથે નજીકની ગૌશાળાના છાપરા પણ બળીને ખાખ થઈ ગયા હતા, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની આ ઘટનામાં 3 થી 4 લોકો દાઝી ગયા હોવાની શક્યતા છે અને તેમને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ મામલે સરકારને ઘેરી છે. તેમણે ટ્વિટ કરીને અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “અયોધ્યા જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થળે જ્યાં સરકારના મંત્રી પોતે હાજર હોય, ત્યાં આવી સુરક્ષા ક્ષતિ ગંભીર બાબત છે. ભીડ પર કાબૂ મેળવવા અને અગ્નિશમન માટે પૂરતી વ્યવસ્થા કેમ નહોતી? શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં મૂકવા બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ પણ આ ઘટનાને વહીવટીતંત્રની નિષ્ફળતા ગણાવી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે અયોધ્યામાં મોટા આયોજનો વખતે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે જેથી ખબર પડી શકે કે આગ શોર્ટ સર્કિટથી લાગી હતી કે તે કોઈની બેદરકારીનું પરિણામ છે.

સરકાર અને વહીવટીતંત્રનો પક્ષ

પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે, “યજ્ઞની પૂર્ણાહુતિ થયાના લગભગ દોઢ કલાક બાદ આ અકસ્માત થયો હતો. સદનસીબે તે સમયે યજ્ઞશાળા ખાલી હતી, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત. બીજી જગ્યાએ 700 મીટર દૂર પણ આગ લાગી હતી, જે શંકાસ્પદ છે.”

આ પણ વાંચો: રામમંદિરને 2 માસમાં 26 કરોડ દાન મળ્યું, 36 કરોડની જમીન ખરીદી

અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટીકારામ ફંડે અને એસએસપી ડો. ગૌરવ ગ્રોવરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. પ્રારંભિક તપાસમાં 3 થી 4 શ્રદ્ધાળુઓ મામૂલી રીતે દાઝ્યા હોવાનું જણાયું હતું, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. એસએસપીએ ઉમેર્યું કે પોલીસની ટુકડીઓ અને ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે કે પવનને કારણે લાગેલી આગમાં કોઈ અન્ય પરિબળ તો જવાબદાર નથી ને.

આ ઘટનાએ અયોધ્યામાં થતા મોટા ધાર્મિક મેળાવડાઓમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ યજ્ઞમાં લાગેલી આગ બાદ હવે વહીવટીતંત્ર ભવિષ્યના કાર્યક્રમો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમે પણ નમૂના એકત્ર કર્યા છે.

આ પણ વાંચો: બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x