બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ઉજવણીનો માહોલ હજુ શાંત થયો નથી ત્યાં જાતિવાદી તત્વો દ્વારા બાબાસાહેબની પ્રતિમાઓને નિશાન બનાવવાનું ચાલુ કરી દેવાયું છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ બાબાસાહેબની એક પ્રતિમાને ઉખાડીને પૂલ નીચે ફેંકી દેતા ચકચાર મચી ગઈ છે.
મામલો બિહારના પૂર્વ ચંપારણ (મોતિહારી) જિલ્લાના ઢાકા વિસ્તારનો છે. અહીં ભંડાર ચોક વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ મહાવીર મંદિર ચોક પર સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તેના મૂળ સ્થાનેથી ઉખાડીને નજીકના એક પુલ નીચે ફેંકી દીધી હતી. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિક રહીશો સહિત ભીમ આર્મીના સભ્યો રોષે ભરાયા હતા.

ગાયબ થયેલી પ્રતિમા પૂલ નીચેથી મળી આવી
આ ઘટના સ્ટેટ હાઈવે (SH-54) માર્ગ પર સ્થિત અત્યંત વ્યસ્ત ગણાતા ભંડાર ચોક પર બની હતી. અહીં એક ઉંચા ટાવર પર બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સોમવારે વહેલી સવારે જ્યારે સ્થાનિક ગ્રામજનો દૈનિક કામકાજ માટે ઘરની બહાર નીકળ્યા, ત્યારે તેમની નજર ખાલી ટાવર પર પડી હતી. પ્રતિમા ગાયબ હોવાના સમાચાર વાયુવેગે સમગ્ર ઢાકામાં ફેલાઈ ગયા હતા. શોધખોળ દરમિયાન, ગામલોકોને પ્રતિમા નજીકના પુલ નીચે કાદવમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું આ રીતે અપમાન કરવામાં આવતા બહુજન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ભી.ન.વણકરની સાહિત્યયાત્રા અને કેફિયતનો કાર્યક્રમ યોજાયો
પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની ગંભીરતા અને લોકોના ઉગ્ર મિજાજને જોતા પચપકડી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સૌ પ્રથમ પુલ નીચેથી પ્રતિમાને અત્યંત સન્માનપૂર્વક બહાર કાઢીને સુરક્ષિત કબજે કરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ભીમ આર્મીના કાર્યકરો અને ગામલોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.
સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ શરૂ કરાઈ
ભંડાર ચોક પર સ્થાપિત આ ટાવર અને પ્રતિમાનું નિર્માણ તત્કાલીન ધારાસભ્ય પવન જયસ્વાલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સ્થાનિક લોકો બંધારણીય સન્માનનું કેન્દ્ર હતી. જે રીતે રાત્રિના અંધકારમાં પ્રતિમાને ટાર્ગેટ કરવામાં આવી છે, તે જોતા સ્થાનિકો તેને સમાજમાં જાતિવાદી ઝેર ઘોળવા અને શાંતિ ભંગ કરવાનું પૂર્વનિયોજિત ષડયંત્ર ગણાવી રહ્યા છે. પોલીસ અત્યારે આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારો દ્વારા શકમંદોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મુન્દ્રામાં જય ભીમ ટ્રસ્ટ દ્વારા ડૉ.આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
પોલીસે ફરિયાદ નોંધવાની તૈયારી કરી
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને શાંત પાડતા ખાતરી આપી છે કે સામાજિક સૌહાર્દ બગાડનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે અજાણ્યા તત્વો વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જનપ્રતિનિધિઓએ પણ આ ઘટનાને લોકશાહી મૂલ્યો પરનો હુમલો ગણાવીને તેની આકરી નિંદા કરી છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપીઓ પકડાશે નહીં, તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે.
આ પણ વાંચો: બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!











