ભારતના વંચિત, શોષિત સમાજના લોકોને સમાનતાનો, જીવન જીવવાનો અને માણસ હોવાનો હક અપાવનાર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર પ્રત્યે દેશના સવર્ણ જાતિવાદી ગુંડાઓને કઈ હદે નફરત છે તેની આ વાત છે. મામલો જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તર પ્રદેશનો છે.
અહીંના એટા જિલ્લાના ગઢિયા ગામમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અપમાન અને ત્યારબાદ દલિત પરિવાર પર થયેલા હુમલાને પગલે ભારે તંગદિલી ફેલાઈ છે. જાનમાં આવેલા કેટલાક તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાના મોં પર પતરું મારીને તેને વિકૃત કરી નાખી હતી, જેની સામે પોલીસ ફરિયાદ નોંધાતા ઉશ્કેરાયેલા ગ્રામીણોએ દલિત પરિવાર સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને તપાસ હાથ ધરી છે.

જાનમાં આવેલા જાતિવાદી જાનૈયાઓની વિકૃતિ
ઘટનાની વિગતો મુજબ, ગત 24 એપ્રિલના રોજ ગામમાં એક જાન આવી હતી. આ જાનમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ ગામના આંબેડકર પાર્કમાં સ્થાપિત ડો. આંબેડકરની પ્રતિમાના ચહેરા પર સ્ક્રૅચ કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પીઆઈ નીતુ વર્માએ તાત્કાલિક દખલગીરી કરી હતી અને પોતાના ખર્ચે પ્રતિમાનું સમારકામ કરાવી તેને ફરી પૂર્વવત કરી દીધી હતી. એ દરમિયાન દલિત પરિવારની ફરિયાદ પર પોલીસે અજાણ્યા શખ્સો સામે પ્રથમ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: જાતિવાદીઓએ ડૉ. આંબેડકરની પ્રતિમા ઉખાડી પુલ નીચે ફેંકી દીધી
પોલીસ ફરિયાદ થતા પ્રતિમા પર ફરીથી હુમલો કર્યો
પોલીસ કાર્યવાહીથી છંછેડાયેલા કેટલાક સ્થાનીક લોકોએ શુક્રવારના રોજ ફરીથી આંબેડકર પાર્કના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ગામના અભિષેક જાટવ નામના યુવકે આ દાદાગીરીનો વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. આરોપીઓએ અભિષેકને જાતિસૂચક ગાળો ભાંડી તેની સાથે મારામારી કરી હતી. આ હિંસક હુમલા બાદ દલિત સમાજમાં ફરી એકવાર ગભરાટ અને આક્રોશનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: ગાંધીનગરની ડૉ. આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

10 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
અભિષેકના દાદા રાજનલાલની ફરિયાદના આધારે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે. મિરહચી પોલીસે અજય, સુમિત, અનિરુદ્ધ અને રાજીવ નામના ચાર મુખ્ય આરોપીઓ સહિત આશરે અડધો ડઝન લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ એસસી-એસટી એક્ટની કલમ 3(2)(v) હેઠળ તપાસ શરૂ કરી છે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટુકડીઓ દરોડા પાડી રહી છે. ડો. આંબેડકરની પ્રતિમા પર થયેલા હુમલા અને ત્યારબાદ દલિત પરિવારને નિશાન બનાવવાની આ ઘટનાને ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: મમતા બેનરજી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે!











