NCRB Report: આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે મધ્યપ્રદેશ ફરી એકવાર દેશભરમાં નંબર વન બન્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB Report) ના તાજેતરના આંકડાઓએ મધ્ય પ્રદેશની કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. વર્ષ 2024 ના અહેવાલ મુજબ, આદિવાસીઓ વિરુદ્ધ થતા ગુનાઓની બાબતમાં મધ્ય પ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે રાજ્ય આ શરમજનક યાદીમાં ટોચ પર છે, જે દર્શાવે છે કે ત્યાંની આદિવાસી વસ્તી ભારે અસુરક્ષા અને અન્યાયનો સામનો કરી રહી છે.
મણિપુર જેવી ગંભીર સ્થિતિ

આંકડાઓની સરખામણી કરીએ તો સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. નવભારત ટાઈમ્સના રિપોર્ટ મુજબ, વંશીય હિંસાથી ગ્રસ્ત મણિપુરમાં વર્ષ 2023 દરમિયાન 3,399 ગુનાહિત કેસો નોંધાયા હતા. તેની સામે મધ્ય પ્રદેશમાં કોઈ મોટા પાયે કોમી રમખાણો કે હિંસા ન હોવા છતાં, માત્ર 2024માં જ આદિવાસીઓ વિરુદ્ધ 3,165 ગુનાઓ નોંધાયા છે. આ આંકડો સાબિત કરે છે કે રાજ્યમાં આદિવાસીઓ વિરુદ્ધ હિંસા સામાન્ય બની ગઈ છે. હત્યાના કિસ્સામાં પણ રાજ્યએ રાષ્ટ્રીય સરેરાશ (13%) ને વટાવીને 24% નો મોટો ઉછાળો નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Ken-Betwa project ના વિરોધમાં આદિવાસી મહિલાઓ બાળકો સાથે ચિતા પર સૂતી
મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં
રિપોર્ટનું સૌથી કાળી બાજુ આદિવાસી મહિલાઓ અને બાળકો વિરુદ્ધની હિંસા છે. વર્ષ 2024માં મધ્ય પ્રદેશમાં આદિવાસી મહિલાઓ પર બળાત્કારના 358 કેસ નોંધાયા હતા, જે ભારતના કુલ આદિવાસી બળાત્કાર કેસોના 28% જેટલા થાય છે. બાળકોની સુરક્ષાની વાત કરીએ તો, POCSO હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા 132 થી વધીને 137 થઈ છે. આ ઉપરાંત, આદિવાસી યુવતીઓના અપહરણ અને લગ્ન માટે દબાણ કરવાના કિસ્સામાં મધ્ય પ્રદેશ અને ગુજરાત સંયુક્ત રીતે દેશમાં મોખરે રહ્યા છે.

માનવતાને લજવતી ઘટનાઓ
આ આંકડાઓ પાછળ હૃદયદ્રાવક વાસ્તવિકતા છુપાયેલી છે. રિપોર્ટમાં ઈન્દોરની એક ઘટનાનો ઉલ્લેખ છે જ્યાં એક આદિવાસી યુવકને જાહેરમાં અપમાનિત કરી તેની પાસે જૂતાની દોરી બંધાવવામાં આવી હતી. તેવી જ રીતે, સિંગરૌલીમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાનો પ્રયાસ કરનાર આદિવાસી ખેડૂત ઈન્દ્રપાલ અગરિયાને ટ્રેક્ટર નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાઓ જમીની સ્તરે આદિવાસીઓ સાથે થઈ રહેલી ક્રૂરતા અને વહીવટીતંત્રની નિષ્ફળતાની ગવાહી છે. જો આ દિશામાં કડક પગલાં લેવામાં નહીં આવે, તો આદિવાસીઓનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.
આ પણ વાંચોઃ ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!











