દલિતોને હેરાન કરવા માટે જાતિવાદી તત્વો કેવા કેવા પેંતરાઓ કરતા હોય છે તેની આ વાત છે. સામાન્ય રીતે સરપંચને ગામલોકોની સમસ્યાઓના સમાધાન માટે ચૂંટવામાં આવતા હોય છે. પરંતુ એક ગામમાં ખુદ સરપંચ જ એક દલિત પરિવાર ઘર છોડીને જતો રહે તે માટે તેમને હેરાન પરેશાન કરી રહ્યાં છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે ગામની મહિલા સરપંચ અને તેના પતિએ તેમના ઘરની ચારે બાજુ જાણીજોઈને ગંદું પાણી ભરાવી દીધું છે, જેથી કંટાળીને દલિત પરિવાર પોતે જ આ ઘર છોડીને જતો રહે અને બાદમાં તે ઘર સરપંચ પચાવી પાડે. આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના લોકોએ એકઠા થઈને ડેપ્યુટી કમિશનર (ડીસી) કાર્યાલયની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.
સરપંચ અને તેના પતિ પર ગંભીર આક્ષેપો
પીડિત દલિત પરિવાર અને સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, ગામની કથિત સવર્ણ જાતિની મહિલા સરપંચ મધુ અને તેના પતિ સંદીપ દ્વારા પરિવાર પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આરોપ છે કે ‘ઘર વેચો અથવા ગામ છોડો’ ની નીતિ અપનાવીને દલિત પરિવારના ઘરની આસપાસ ગટરનું કે અન્ય ગંદું પાણી જમા કરી દેવામાં આવ્યું છે. જેના કારણે પરિવારનું જીવવું હરામ થઈ ગયું છે. આ કૃત્ય પાછળનો મુખ્ય હેતુ પરિવારને એટલો પરેશાન કરવાનો છે કે તેઓ મકાન વેચીને અહીંથી જતા રહે. પીડિતોએ આ અંગે સ્થાનિક પોલીસ ચોકી અને થાણામાં લેખિત ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ સરપંચ વગદાર હોવાના કારણે હજુ સુધી કોઈ નક્કર પોલીસ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચો: કડીની દલિત સગીરાને પીંખી નાખનાર 6 નરાધમોને આજીવન કેદની સજા
ડીસી ઓફિસ બહાર વિરોધ અને આંદોલનની ચીમકી
પોલીસ દ્વારા કોઈ ન્યાયિક પગલાં ન ભરાતા રોષે ભરાયેલા દલિત સમાજના લોકો પીડિત પરિવારના સમર્થનમાં આવ્યા હતા. તેમણે પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરવા માટે ડીસી ઓફિસની બહાર ધરણા પ્રદર્શન યોજ્યા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે આરોપી સરપંચ અને તેના પતિ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો: શું અમેરિકામાં કાળા લોકો સાથે તરવા બાબતે ભેદભાવ થાય છે?
સરપંચે કશું પણ કહેવાનું ટાળ્યું
બીજી તરફ, જ્યારે આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમને આ બાબતે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ મળી નથી. જો સત્તાવાર ફરિયાદ મળશે, તો નિયમાનુસાર યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે આ વિવાદ અંગે બુખારપુર ગામની મહિલા સરપંચ મધુના પતિ સંદીપ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવાનો કે કેમેરા સામે આવવાનો ઈનકાર કર્યો હતો. જો કે, તેમણે એટલું ચોક્કસ કહ્યું હતું કે તેઓ આ મામલે ગામમાં પંચાયત યોજશે અને સંબંધિત પોલીસ અધિકારીઓ તેમજ ડીસી સાથે મુલાકાત કરીને આખો મામલો સ્પષ્ટ કરશે.
આ પણ વાંચો: GPSC કે ‘પટેલ સેવા આયોગ’? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?











