અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો અને કરોડો રૂપિયાના દાનની ચોરી અને કૌભાંડનો મામલો વધુ ગંભીર બન્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે પોતાની તપાસનો વ્યાપ વધારીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમોમાં કરવામાં આવેલા ₹124 કરોડથી વધુના નાણાકીય ખર્ચાઓને પોતાના દાયરામાં લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆઈટી દ્વારા જાન્યુઆરી 2024માં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, વર્ષ 2025ના મહાકુંભની નાણાકીય વ્યવસ્થાઓ અને નવેમ્બર 2025માં આયોજિત ધ્વજારોહણ સમારોહના ખર્ચના સત્તાવાર ઓડિટ રેકોર્ડ, પેમેન્ટ વાઉચર્સ, બિલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના રેકોર્ડની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસનો મુખ્ય હેતુ એ સ્પષ્ટ કરવાનો છે કે ફંડનો ઉપયોગ ટ્રસ્ટની નક્કી કરેલી નાણાકીય પ્રક્રિયાઓ અને યોગ્ય મંજૂરીઓ અનુસાર થયો હતો કે નહીં.

એસઆઈટીની તપાસ હેઠળના કુલ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો છે. આ હાઇ-પ્રોફાઇલ આયોજન પાછળ ટ્રસ્ટ દ્વારા ₹113 કરોડનો તોતિંગ ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં દેશ-વિદેશના આશરે 8,000 જેટલા આમંત્રિત મહેમાનો સામેલ થયા હતા.
આ પણ વાંચો: બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!
આ સિવાય 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલો ભવ્ય ધ્વજારોહણ સમારોહ પણ તપાસના ઘેરામાં આવ્યો છે. આશરે 6,000 મહેમાનોની હાજરીવાળા આ એક જ કાર્યક્રમ પાછળ ટ્રસ્ટના રેકોર્ડમાં ₹10.12 કરોડની ભારે-ભરખમ રકમનો ખર્ચ નોંધાયેલો છે. જો આ ખર્ચની સરેરાશ ગણતરી કરવામાં આવે તો પ્રતિ મહેમાન દીઠ આશરે ₹16,000નો જંગી ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે, જેની સત્તાવાર મંજૂરી પ્રક્રિયાની કાયદેસરતા એસઆઈટી તપાસી રહી છે.
આ સિવાય જાન્યુઆરી 2025 દરમિયાન આયોજિત અન્ય ધાર્મિક ઉત્સવો પણ શંકાના દાયરામાં છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 11 થી 13 જાન્યુઆરી 2025 સુધી યોજાયેલા પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહમાં ટ્રસ્ટે કુલ ₹83 લાખનો ખર્ચ કર્યો હતો, જેમાંથી ₹52 લાખ જેટલી મોટી રકમ માત્ર લાઈટિંગ અને ડેકોરેશન પાછળ વાપરવામાં આવી હતી.

આ સાથે જ વર્ષ 2025માં યોજાયેલા મહાકુંભ દરમિયાન દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓની વિવિધ વ્યવસ્થાઓ અને સુવિધાઓ માટે ટ્રસ્ટના ખાતામાંથી ખર્ચવામાં આવેલા ₹43 લાખના નાણાકીય વ્યવહારોની પણ તીવ્ર સમીક્ષા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટની સોમવારે મળેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકારની એસઆઈટીનો આ પ્રારંભિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ તમામ આયોજનોના ખર્ચના ઓડિટની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?
આ નાણાકીય ઓડિટની સાથે જ રામ મંદિરમાં થયેલા મોટા કૌભાંડનો ખુલાસો પણ આ તપાસનો એક મહત્વનો ભાગ છે. એસઆઈટીના અહેવાલ મુજબ, 27 એપ્રિલથી 5 જૂન 2026 વચ્ચેના માત્ર 40 દિવસના ઉપલબ્ધ સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવતા દાન-પાત્રમાંથી કુલ 70 વખત ચોરી થઈ હોવાની ચોંકાવનારી પુષ્ટિ થઈ છે. મંદિર પરિસરમાં બેંકિંગ ગણતરી અને દાનની ઇન્વેન્ટ્રી સંભાળતા કર્મચારીઓ જ નોટોની આખી ગડીઓ અને ખુલ્લા રૂપિયા પોતાના કપડાં, ખિસ્સાં, મોજાં અને શૂઝમાં છુપાવીને બહાર લઈ જતા હતા.
સાયબર સેલની મદદથી રિકવર કરાયેલા ડિલીટેડ વોટ્સએપ ચેટ્સ પરથી જાણવા મળ્યું છે કે આ આરોપીઓ ચોરી કરેલી રકમને સૌપ્રથમ મંદિરના જ વોશરૂમમાં છુપાવી દેતા હતા અને ત્યારબાદ મોકો જોઈને તેને ધીમે-ધીમે પરિસરની બહાર મોકલી આપતા હતા.
આ પણ વાંચો: રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા
મંદિરના ચઢાવામાં થયેલી આ કરોડો રૂપિયાની ચોરી અને નાણાકીય ગેરરીતિનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે ચરમસીમાએ પહોંચતા રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી તાત્કાલિક રાજીનામા આપવાની ફરજ પડી છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસ અને એસઆઈટીની સંયુક્ત ટીમે સપાટો બોલાવીને મુખ્ય આરોપી અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા અને ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રમાશંકર ઉર્ફે ટિન્નુ યાદવ સહિત કુલ 8 સક્રિય આરોપીઓની ધરપકડ કરીને જેલભેગા કર્યા છે.
અત્યાર સુધીની તપાસ અને દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી આશરે ₹80 લાખ રોકડા, અમેરિકન ડોલર, ભારે માત્રામાં સોનું-ચાંદી તેમજ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં એસઆઈટી એ બાબતની ઊંડી તપાસ ચલાવી રહી છે કે આ તમામ મોટા આયોજનોના ખર્ચાઓ અને નાણાકીય લેવડદેવડના વિગતવાર બિલ ટ્રસ્ટની સત્તાવાર બેઠકોમાં મંજૂરી માટે રજૂ કરાયા હતા કે નહીં. ભવિષ્યમાં આવી દાનની ચોરી અટકાવવા માટે મંદિર વહીવટીતંત્રે નોટોની ગણતરી કરતા તમામ સ્ટાફ માટે ખિસ્સા વગરની ખાસ ડાર્ક બ્લુ યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે.
આ પણ વાંચો: રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરીનો આરોપ











