ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાંથી સામાજિક ક્રૂરતા અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ છતી કરતી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના ગૈસડી કોટવાલી વિસ્તારના ઠકુરાપુર ગામે 38 વર્ષીય દલિત યુવક રામ સનેહી શિલ્પકારને જાતિવાદી તત્વો દ્વારા થાંભલા સાથે ઊંધો બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. દયાની ભીખ માંગતા અસહાય દલિત યુવક પર આચરવામાં આવેલા આ અમાનવીય અત્યાચારના કારણે આખરે તેનું મોત નીપજ્યું છે. આ ઘટના દર્શાવે છે કે જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ ખોલી પોલ
આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સોશિયલ મીડિયા પર 33 સેકન્ડનો એક ભયાનક વીડિયો વાયરલ થયો. આ વાયરલ વીડિયોમાં રામ સનેહીને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે માર મારવામાં આવી રહ્યો હતો. પીડિત યુવક પોતાની જિંદગી બચાવવા માટે સતત કાલાવાલા કરી રહ્યો હતો, પરંતુ નિર્દય હુમલાખોરોનું દિલ જરાય પીગળ્યું નહોતું. વિશનપુર કલાં ગામનો રહેવાસી રામ સનેહી મજૂરી કામ કરીને પોતાના ભાઈઓ સાથે ગુજારાન ચલાવતો હતો. જ્યારે તેના ભાઈ ફૂલ કુમારે ફેસબુક પર આ વીડિયો જોયો, ત્યારે તેમણે તાત્કાલિક તેને ડાઉનલોડ કરીને પોલીસને મુખ્ય પુરાવા તરીકે સોંપ્યો હતો.

यूपी : चोरी के शक में दलित युवक की खम्भे से बांधकर पीट-पीट कर हत्या। युवक चीख चीख कर रहम की भीख मांगता रहा रहा लेकिन दबंग आरोपियों ने एक न सुनी और बर्बरता से मारते रहे।।
बलरामपुर के कोतवाली गैसड़ी क्षेत्र के ठकुरापुर गांव का मामला।। pic.twitter.com/OjODeKEkWj
— Ashish Paswan (@ashishpaswan0) August 13, 2026
આ પણ વાંચોઃ દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઉંધો લટકાવ્યો
ચોરીનો આક્ષેપ અને આરોપી પક્ષનો દાવો
ઘટનાને લઈને આરોપી પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રામ સનેહી ચોરી કરવાના ઈરાદાથી ત્યાં પહોંચ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોએ તેને પકડીને માર માર્યો હતો. પરંતુ, કોઈપણ સંજોગોમાં કાયદો પોતાના હાથમાં લઈને આ પ્રકારે કોઈ વ્યક્તિને થાંભલે બાંધીને મૃત્યુદંડ આપવાનો અધિકાર કોઈ નાગરિક કે ગુંડાને નથી.મૃતકના પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે ઠકુરાપુરના સ્થાનિક માથાભારે શખ્સ ગુડ્ડુ, તેના પિતા અકબર અલી, મગ્ધે નાઉ અને તેમના સાથીઓએ મળીને યોજનાબદ્ધ રીતે રામ સનેહીની હત્યા કરી નાખી છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વાયરલ વીડિયો અને પીડિત પરિવારની લેખિત ફરિયાદના આધારે પોલીસે 3 સામે નામજોગ અને 1 અજાણ્યા શખ્સ સામે હત્યા (IPC) તથા SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગૈસડી પોલીસ સ્ટેશનના પીઆઈ રાજકુમાર પાંડેના જણાવ્યા મુજબ કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ સાક્ષ્યોના આધારે આગળની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત યુવકને ચોરીની શંકામાં ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો












