દલિતો પર નરેન્દ્ર મોદીના ભાજપના સાશનમાં ગૌરક્ષાના નામે દેશભરમાં બજરંગદળ અને વીએચપી સહિતના સંગઠનોની આડમાં ગુંડાતત્વો કેવી રીતે નિર્દોષ લોકોને માર મારી દાદાગીરી કરે છે તે સૌ જાણે છે. આવા ગુંડાઓને કાયદાનું રક્ષણ પ્રાપ્ત હોવાથી દલિતોને માર મારે તો પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. અનેક ગંભીર કેસોમાં પણ આવા ગુંડાઓ નિર્દોષ છૂટી જાય છે. પરિણામે સામાન્ય લોકોમાં આવા કહેવાતા સંગઠનોના ગુંડાઓની ધાક વધી જાય છે.
આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે, જ્યાં એક દલિત યુવકને બજરંગ દળ સાથે જોડાયેલા 6 ગુંડાઓએ ઢોર માર મારી ગોબર ખવડાવ્યું હતું. મામલો જાલનાનો છે. અહીં પોતાને ‘ગૌરક્ષક’ અને બજરંગ દળના સભ્યો ગણાવતા 6 લોકોએ એક દલિત યુવકને રોકીને તેને ઢોરમાર માર્યો હતો અને તેના મોંમાં બળજબરીપૂર્વક છાણ (ગોબર) ઠૂંસી દીધું હતું. પીડિત પરમેશ્વર સુહાસ હિવાલે દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 23 મે 2026ના રોજ બની હતી. પરમેશ્વર પોતાના 11 વર્ષના માસૂમ પુત્ર અને પરિચિત નારાયણ મારોતી કાંબળે સાથે દેઉલગાંવ રાજાના પશુ બજારમાંથી એક બળદ ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા. કન્હૈયા નગર વિસ્તારમાં કથિત ગોરક્ષકોના ટોળાએ તેમના વાહનને આંતર્યું હતું અને કોઈ પણ તપાસ વિના એવો પાયાવિહોણો આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ આ બળદને કોઈ મુસ્લિમ કસાઈને વેચવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડોની સરકારી સહાય પડાવી
બજરંગ દળને કાયદો હાથમાં લેવાની ખુલ્લી છૂટ!
પીડિત પરમેશ્વરે આક્ષેપોનો સખત વિરોધ કર્યો હતો અને બળદ ખરીદીના કાયદેસરના સત્તાવાર દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. આમ છતાં, કથિત ગોરક્ષકોએ કાયદાકીય કાગળોને ગણેકાર્યા વિના પીડિતનું નામ અને જાતિ પૂછી હતી. તેઓ દલિત હોવાની જાણ થતાં જ આ કટ્ટરપંથી તત્વોએ જાતિસૂચક ગાળો આપીને પરમેશ્વર અને તેમના સાથી સાથે મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, આ આરોપીઓએ પરાણે પીડિતને છાણ ખવડાવ્યું હતું. એટલું જ નહીં, આ નરાધમોએ તેમના 11 વર્ષના સગીર પુત્રના મોંમાં પણ છાણ નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પિતાએ વિરોધ કરતા બાળકનો બચાવ થયો હતો. હુમલાખોરોએ તેમના વાહનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો હતો.
महाराष्ट्र के जालना में हिंदूवादी गौरक्षकों के द्वारा दलित समाज के युवक को जबरन गाय का गोबर खिलाकर उसके साथ मारपीट की😡👇🏻
दलित समाज से आने वाले ट्रक ड्राइवर परमेश्वर सुहास हिवाले अपने 11 वर्षीय बच्चे के साथ पशु बाजार से एक बैल खरीदकर लौट रहे थे
रास्ते में के कुछ तथाकथित… pic.twitter.com/xQ7tetqsf7
— Priyanshu Kumar (@priyanshu__63) August 29, 2026
પોલીસ ફરિયાદમાં ઘણો વિલંબ થયો
હુમલા બાદ આરોપીઓએ પીડિત પરિવારને ધમકી આપી હતી કે જો તેઓ પોલીસ સ્ટેશન જશે તો તેમના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ડર અને દહેશતના કારણે પીડિત પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ જ્યારે ઓગસ્ટ મહિનામાં આ અમાનવીય ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો, ત્યારે પીડિતે હિંમત ભેગી કરીને 21 ઓગસ્ટ 2021ના રોજ જાલના તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના દર્શાવે છે કે દેશમાં સ્વયંભૂ ગૌરક્ષકોના નામે રખડતા ગુંડાઓ કાયદાની કોઈ પરવા કર્યા વિના દલિતો અને વંચિતોને લક્ષ્ય બનાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કામ માંગવા જઈએ તો લોકો અમે ગાય કાપતાં હોઈએ તેમ જુએ છે

6 કથિત ગૌરક્ષકો સામે એફઆઈઆર નોંધાઈ
પોલીસ ઈન્સ્પેક્ટર સંતોષ સાબળેના જણાવ્યા અનુસાર, ઓળખી કાઢવામાં આવેલા 6 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ધારા 126(2) (ગેરકાયદેસર રીતે રોકવું), કલમ 115(2) (જાણી જોઈને શારીરિક ઈજા પહોંચાડવી) અને ધારા 189(2) (ગેરકાયદેસર મંડળી રચવી) ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocities Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક વિક્રમ સાલીએ પુષ્ટિ કરી છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારી આ સમગ્ર મામલાની સઘન તપાસ કરી રહ્યા છે.
વીડિયો હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહીં
પરંતુ સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે ગુનો નોંધાયા બાદ અને સીધો વિડીયો પુરાવો ઉપલબ્ધ હોવા છતાં અત્યાર સુધી આ કેસમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં અને સોશિયલ મીડિયા પર પુરાવા વાયરલ થયા પછી પણ પોલીસ દ્વારા આટલું ઢીલું વલણ દાખવવામાં આવી રહ્યું છે. દેશમાં ગોરક્ષાના નામે દલિતો પર વધી રહેલા અમાનવીય આક્રમણો અને કાયદા અમલીકરણ એજન્સીઓની નિષ્ક્રિયતા સામે સામાજિક સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જો દોષિતો સામે તાત્કાલિક કડક સજાત્મક કાર્યવાહી નહીં થાય, તો આવા કટ્ટરપંથી તત્વોને વધુ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ











