સુરત શહેરમાં કઈ જાતિના ગુજરાતીઓની વસ્તી બહુમતી ધરાવે છે તે સૌ જાણે, અને તેઓ કઈ હદે જાતિવાદી છે તેનો પણ સૌને ખ્યાલ છે. સોસાયટીઓમાં ફક્ત પોતાની જાતિના લોકોને જ મકાન આપવાની જાતિવાદી માનસિકતાથી તેઓ પીડાય છે અને તેનો ભોગ દલિતો બને છે. સુરતમાંથી આવો જ જાતિવાદનો વરવો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા અને ઉચ્ચ શિક્ષણ મેળવેલા એક દલિત ડોક્ટરે અહીંના કોસાડ વિસ્તારમાં પોતાના પરિવાર માટે એક મકાન પસંદ કર્યું હતું. મકાનની ખરીદી પેટે પ્રાથમિક રકમ એટલે કે ટોકન મની પણ ચૂકવી દેવામાં આવી હતી. જોકે, મકાન માલિકને જ્યારે ખરીદનાર ડોક્ટરની જાતિ વિશે જાણ થઈ, ત્યારે તમામ વ્યવહાર અને નૈતિકતા કોરાણે મૂકીને જાતિગત ભેદભાવના કારણે મકાનનો વેચાયેલો સોદો રદ કરી દેવામાં આવ્યો હતો અને ટોકન રકમ પરત પધરાવી દેવાઈ હતી.

જાતિ સામે શિક્ષણ અને ડોક્ટરની ડિગ્રી પણ નકામી
આ ઘટના સાબિત કરે છે કે વ્યક્તિ ભલે સમાજમાં ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, શિક્ષણ મેળવ્યું હોય કે લોકોના જીવ બચાવતો ડોક્ટર હોય, પરંતુ માનસિક રીતે સડેલા જાતિવાદી તત્વો માટે માત્ર તેની જાતિ જ મહત્વની રહે છે. ડોક્ટર હિતેશ ગોહિલે પોતાના સપનાનું ઘર ખરીદવા માટે તમામ કાનૂની અને નાણાકીય તૈયારીઓ કરી લીધી હતી.
આ પણ વાંચો: બિનહરીફ ચૂંટણી: લોકશાહી સામેનો મોટો પડકાર
પરંતુ મકાન માલિકની આભડછેટ ભરેલી માનસિકતાને કારણે આ સોદો રદ કરવામાં આવ્યો. ઉચ્ચ શિક્ષિત દલિત યુવક સાથે થયેલો આ વ્યવહાર માત્ર એક વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર બંધારણીય મૂલ્યોનું અપમાન છે.
શહેરોમાં દલિતો, આદિવાસીઓ અને OBC સમાજ સામે અદ્રશ્ય આભડછેટ
આ કોઈ એકલદોકલ બનાવ નથી. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં ‘હાઈ-ફાઈ’ ગણાતી સોસાયટીઓ અને પૃષ્ઠભૂમિમાં આવી જાતિવાદી માનસિકતા સતત ધબકી રહી છે. સુરત જેવા કોસ્મોપોલિટન શહેરમાં પણ સવર્ણ બહુમતી ધરાવતી સોસાયટીઓમાં દલિત, આદિવાસી કે પછી રબારી, ભરવાડ સહિતની OBC જાતિના લોકોને ઘર ભાડે આપવા કે વેચવા સામે અઘોષિત પ્રતિબંધ મૂકવામાં આવે છે.

ગુજરાતના અનેક શહેરોમાં સોસાયટીના રહીશો અથવા બિલ્ડરો દ્વારા ‘ચોક્કસ જ્ઞાતિના લોકોને જ મકાન અપાશે’ તેવા નિયમો બનાવીને બંધારણના સમાનતાના હકનો અનાદર કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ દલિત કે પછાત વર્ગનો વ્યક્તિ પોતાના પરિશ્રમથી કમાઈને આવી સોસાયટીઓમાં મકાન લેવા જાય છે, ત્યારે તેમને સામાજિક બહિષ્કાર, ધાકધમકી અથવા તો આ રીતે ટોકન પરત આપીને હડધૂત કરવામાં આવે છે.
આ પણ વાંચો: દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!
બહુમતીનો અહંકાર અને સવર્ણ માનસિકતા પર ઉઠતા સવાલો
21મી સદીમાં યુગમાં જીવતા સમાજ માટે આ ઘટના અત્યંત કલંક સમાન છે. જે સમાજ પોતાના વિસ્તારમાં દલિત કે પછાત વર્ગના વકીલ, એન્જિનિયર કે ડોક્ટરને પાડોશી તરીકે સ્વીકારવા તૈયાર નથી, તે સમાજ કેવી રીતે સભ્ય કહી શકાય?
આ પણ વાંચો: મોરીખા દલિત યુવક હત્યા કેસમાં 7 દિવસ બાદ મોટો વળાંક
ડોક્ટર હિતેશ ગોહિલ સાથે બનેલી આ ઘટના બાદ સુરતના સામાજિક વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ સુરત અને ગુજરાતના અલગ-અલગ ભાગોમાંથી સોસાયટીઓમાં દલિતોને મકાન ન આપવાના કે એન.ઓ.સી. (NOC) ન આપવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કાયદાકીય રીતે ભારતના બંધારણમાં દેશના કોઈપણ નાગરિકને ગમે ત્યાં મિલકત ખરીદવાનો કે રહેવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. તેમ છતાં, સ્થાનિક સ્તરે જાતિવાદી તત્વો પોતાનું કાયદાથી પર એવું અદ્રશ્ય સામ્રાજ્ય ચલાવી રહ્યા છે.
જાતિવાદી તત્વો સામે આકરી કાર્યવાહીની માંગ
સુરતમાં બનેલી આ ઘટનાથી પીડિત ડોક્ટર હિતેશ ગોહિલ અને દલિત સમાજના સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આભડછેટ રાખનારા અને બંધારણનું અનાદર કરનારા મકાન માલિકો તથા તેમની પાછળ ઊભેલા જાતિવાદી તત્વો સામે સખત રીતે કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો આવા કિસ્સાઓમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો શહેરોમાં આભડછેટ અને જાતિવાદનું આ ઝેર વધુ ઘેરું બનશે.
આ પણ વાંચો: CIC પાસે પુરતો સ્ટાફ છતાં 40,000 RTI કેસ પેન્ડિંગ











