રાજકોટ: રાજકોટ શહેરના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યો માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. ડેમના પાણીમાં રિક્ષા ધોવા ગયેલા પિતા અને પુત્રો પૈકી એક યુવક ડૂબવા લાગતા તેને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણ સભ્યો પણ પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.
રિક્ષા ધોતી વખતે સર્જાયો અકસ્માત
ઘટનાની વિગતો અનુસાર, રાજકોટના સોરઠીયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (42) તેમના બે પુત્રો ધવલ અને રોહિત તેમજ સાળીના પુત્ર ધ્રુવ મકવાણા સાથે 2 મેના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ આજી ડેમ ખાતે રિક્ષા લઈને આવ્યા હતા. મંદિરે દર્શન કર્યા બાદ તેઓ ડેમના કાંઠે રિક્ષા ધોઈ રહ્યા હતા. રિક્ષા ધોવાનું કામ પતાવ્યા બાદ રોહિત જાદવ હાથ-મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ‘રંગભેદ’થી કંટાળીને કોમેન્ટ્રી છોડી દીધી!
બચાવવા જતાં એક બાદ એક ચારેય ડૂબ્યા
રોહિતને ડૂબતો જોઈ તેનો ભાઈ ધવલ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો, પરંતુ તેનો પણ પગ લપસતા તે ડૂબવા લાગ્યો હતો. પોતાના બંને દીકરાઓને મોત સામે લડતા જોઈ પિતા ભરતભાઈ અને માસિયાર ભાઈ ધ્રુવ પણ એક બાદ એક પાણીમાં કૂદી પડ્યા હતા. કમનસીબે, પાણી ઊંડું હોવાને કારણે ચારેય વ્યક્તિઓ ડેમમાં ડૂબી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ફાયરબ્રિગેડનું સર્ચ ઓપરેશન
ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ બેડીપરા ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુ વાહન અને ઓક્સિજનના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ડેમના પાણીમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે બે કલાકની મહેનત બાદ ભરતભાઈ જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાના મૃતદેહ મળી આવ્યા હતા, જેમને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જોકે, રોહિત જાદવ હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત ભવનમાં ઘાસચારો ભરી દીધો, શૌચાલયમાં દુકાન બનાવી દીધી!

પોલીસે તપાસ શરૂ કરી
ડીસીપી ઝોન-1 હેતલ પટેલે જણાવ્યું હતું કે, આજી ડેમ ખાતે પિતા અને ત્રણ યુવાનો ડૂબવાની ઘટના અત્યંત ગંભીર છે. પ્રાથમિક તપાસમાં પિતા-પુત્રો દર્શન કરવા આવ્યા હોવાનું અને રિક્ષા ધોતી વખતે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ત્રણ લાશ કબજે કરવામાં આવી છે અને ફાયરબ્રિગેડ દ્વારા ગુમ થયેલા ચોથા વ્યક્તિ માટે શોધખોળ ચાલુ છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અને નવા ઘાંચી વાડ વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
આ પણ વાંચો: કેરળ નીતિન રાજ આત્મહત્યા મુદ્દે 52 દલિત સંગઠનો આંદોલન કરશે











