અમદાવાદ: ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના અવસરે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમદાવાદના બહેરામપુરા વિસ્તારના જય ભીમ યુથ સર્કલ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે એક વિશાળ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો.
વિવિધ રોગો માટે નિષ્ણાંતો દ્વારા સેવા
આ મેડિકલ કેમ્પમાં આધુનિક તબીબી વિજ્ઞાનના વિવિધ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં આંખનો વિભાગ, કાન-નાક-ગળાનો વિભાગ (ENT), મેડીસીન વિભાગ, અને જનરલ પ્રેક્ટિશનર વિભાગનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, જટિલ રોગો માટે સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, ચામડીનો વિભાગ તથા ઓર્થોપેડીક વિભાગના સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ પણ હાજર રહી દર્દીઓની તપાસ કરી હતી. પરંપરાગત સારવાર પદ્ધતિને મહત્વ આપતા આયુર્વેદિક વિભાગની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો: ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે
તપાસ અને નિદાનની સુવિધાઓ પુરી પડાઈ
આ કેમ્પ માત્ર પ્રાથમિક તપાસ પૂરતો મર્યાદિત ન રહેતા, દર્દીઓ માટે અન્ય જરૂરી ટેકનિકલ તપાસ અને સચોટ નિદાનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. નિષ્ણાંત તબીબોએ દર્દીઓને ભવિષ્યની સારવાર માટે યોગ્ય માર્ગદર્શન અને સલાહ પૂરી પાડી હતી. મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક તપાસણીનો લાભ લીધો હતો.
ડૉ.આંબેડકરના વિચારોને સાર્થક કરાયા
બાબાસાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ ના મંત્રને સાર્થક કરતા, જય ભીમ યુથ સર્કલ દ્વારા આરોગ્ય સેવાના આ માધ્યમથી સમાજમાં એકતા અને સેવાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના તબીબોની ટીમ અને યુથ સર્કલના સ્વયંસેવકોના સંકલનથી આ કેમ્પ સુચારુ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, મહામાનવની જન્મજયંતિની ઉજવણીનો શ્રેષ્ઠ માર્ગ પીડિતો અને વંચિતોની સેવા જ છે.
આ પણ વાંચો: પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું












