અમદાવાદ શહેરને જે લોકો ઓળખે છે તેમને બરાબર ખ્યાલ છે કે, કહેવાતા આ સમરસ શહેરમાં બે સ્પષ્ટ ભાગલા પડેલા છે. એક પૂર્વ અમદાવાદ છે, બીજું પશ્ચિમ અમદાવાદ છે. આ બંને વિસ્તારના લોકોને લઈને પણ જનમાનસમાં સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે. પશ્ચિમમાં કોઈ વ્યક્તિ રહેતી હોય તો તેને લોકો પૈસાદાર અને પ્રગતિશીલ માને છે. જ્યારે પૂર્વ અમદાવાદમાં રહેતી વ્યક્તિને લોકો પછાત, જડ અને ગરીબ માને છે. આ બાબત માત્ર લોકોના માનસિકતા પુરતી મર્યાદિત નથી. બંને વિસ્તારના રસ્તા, બગીચા, સફાઈ અને અન્ય સુવિધાઓ જોઈને પણ સમજાઈ જશે. પૂર્વ-પશ્ચિમ અમદાવાદ વચ્ચેનો આ ભેદભાવ વર્ષોથી ચાલ્યો આવે છે અને હવે તેમાં એક નવી વાત ઉમેરાઈ છે અને તે વધુ ગંભીર છે.
મળતી માહિતી મુજબ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની સરકારી શાળાઓમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનના મેનુમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ આરોપ કોઈ સામાન્ય નાગરિકે નહીં પરંતુ એક કોર્પોરેટરે લગાવ્યો છે અને એએમસીના બજેટ સત્રમાં તેને લઈને ચર્ચા પણ થઈ છે.
એએમસીના બજેટ સત્રના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે સ્કૂલ બોર્ડ બજેટ પર ચર્ચા દરમિયાન સ્કૂલના બાળકોને આપવામાં આવતા ભોજનમાં ભેદભાવ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, શહેરના પૂર્વ વિસ્તારના 1.27 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ત્રણ દિવસ માત્ર બે વાનગી આપવામાં આવે છે. જ્યારે પશ્ચિમ વિસ્તારના 43,000 વિદ્યાર્થીને છ દિવસ ત્રણેય વાનગીઓ આપવામાં આવે છે. આવો ભેદભાવ શા માટે?
મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરતા કોર્પોરેટરે જણાવ્યું હતું કે, સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ 450 શાળામાં એન.જી.ઓ. દ્વારા તૈયાર ભોજન પુરૂ પાડવામાં આવે છે. પૂર્વ વિસ્તારની કુલ 329 શાળામાં વર્ષ 2006થી સ્ત્રીશક્તિ સંસ્થા દ્વારા 1.27 લાખ બાળકોને તૈયાર ભોજન પીરસવામાં આવે છે. જ્યારે પશ્ચિમ વિસ્તારની 121 શાળામાં વર્ષ 2007થી ઈસ્કોનની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા 43000 બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે.
આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવે છે. જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા 29.25 કરોડ થાય છે. જેમાં સ્ત્રીશક્તિ સંસ્થાને 21 કરોડ અને અક્ષયપત્ર સંસ્થાને 8.25 કરોડ ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટના પેટે આવતા રૂપિયા સંસ્થાને ચૂકવવામાં આવતા હોવા છતાં પણ બાળકોમાં મધ્યાહન ભોજન આપવામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા રાજ્ય સરકાર માર્ગદર્શિકા લાવશે
કોર્પોરેટર જગદીશ રાઠોડે કહ્યું કે, નાસ્તામાં પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભેદભાવ કરાય છે. પૂર્વ વિસ્તારમાં સિંગની સુખડી અને સિંગ ચણા અપાય છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રોસ્ટેડ મસાલા સીંગ ચણા, સુખડી વગેરે આપવામાં આવે છે. જમવામાં પણ વેજ પુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી જેવા અલગ અલગ પ્રકારના મેનુ હોય છે અને તેમાં પણ બંને વિસ્તારમાં ભેદભાવ કરવામાં આવે છે.
જગદીશ રાઠોડે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા યુનિફોર્મ માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જે ગણવેશ આપવામાં આવે છે તે માપ વિનાના હોય છે. જેના કારણે તેમના મા-બાપને વધારાનો પણ ખર્ચ કરવો પડે છે. સારું શિક્ષણ અને મધ્યાહન ભોજન બાળકોને આપવું જોઈએ. દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે, તેની દસ મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં તે આપવાની શરૂઆત થઈ હતી. આ યોજના શરૂ કરવામાં આવી છે તેનો યોગ્ય અમલ થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ અમદાવાદને આજે પણ લોકો ગરીબ અને પછાત માને છે, જ્યારે પશ્ચિમ અમદાવાદને પૈસાદાર અને પ્રગતિના પ્રતિક તરીકે જોવામાં આવે છે. આ માનસિકતા સામાન્ય લોકો સુધી મર્યાદિત રહે તે પણ નુકસાનકારક છે, ત્યારે હવે તો ખુદ એએમસી દ્વારા જેમને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે તે સંસ્થાઓ જ બાળકોને પીરસાતા ભોજનમાં ભેદભાવ કરે તો કોને ફરિયાદ કરવા જવી? જો આ આક્ષેપો સાચા હોય તો તેના પર તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.
આ પણ વાંચો: દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું