BSP એ કેડર મીટિંગમાં આર્થિક સહાય લેવાની પ્રથા કેમ બંધ કરી?

BSP કાર્યકરોની કેડર મીટિંગોમાં હવે સમર્થકો પાસેથી આર્થિક સહાય લેવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાણો શા માટે પક્ષે આ નિર્ણય લીધો.
bsp

BSP એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કેડર મીટિંગમાં પક્ષના સમર્થકો પાસેથી નાણાકીય યોગદાન લેવાની પ્રથા બંધ કરી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાર્ટીને ખરેખર મજબૂત આર્થિક ટેકાની જરૂર છે. જોકે, બીએસપી માટે સૌથી પહેલા તેના કાર્યકરો અગત્યના છે તે આ નિર્ણય પરથી નક્કી થાય છે.

BSP ના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષના ઘટતા જનાધારને ધ્યાનમાં રાખીને જોતા બીએસપી નેતાઓ આર્થિક સહયોગ માંગવા પર અસહજતા અનુભવી રહ્યાં હતા. પક્ષના મોવડીઓએ આ વાતને સમજીને હાલ આર્થિક સહયોગ લેવાની પ્રથાને બંધ કરી દીધી છે. આ નિર્ણય પરથી સાબિત થાય છે કે, પક્ષ માટે તેના પ્રતિબદ્ધ કાર્યકરો સૌથી પહેલા છે.

બીએસપીના એક સિનિયર નેતાને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે, “પહેલાં નેતાઓ ઉમેદવારોને સ્વેચ્છાએ ફાળો આપવા માટે કહેતા હતા. એ વખતે પાર્ટી રાષ્ટ્રીય સ્તરે મજબૂત હતી. પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં પાર્ટીનું ચૂંટણીઓમાં પ્રદર્શન નબળું પડ્યું છે અને અમારા મોટાભાગના સમર્થકો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે, ત્યારે અમે આ પ્રથાનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. જો કે, જો કોઈ સ્વેચ્છાએ દાન આપવા માંગે છે તો તેમનું સ્વાગત છે.”

ઉદ્યોગપતિઓ નહીં પક્ષના પ્રતિબદ્ધ કાર્યકરો પર વિશ્વાસ

BSP કદાચ એકમાત્ર એવી પાર્ટી છે, જેને ઉદ્યોગપતિઓના ફંડ કરતા પણ પોતાના પ્રતિબદ્ધ કાર્યકરો પર વધુ વિશ્વાસ છે. એટલે જ તે કાર્યકરોના હિતમાં કોઈપણ આકરો નિર્ણય લેતા પણ અચકાતી નથી. જોકે, પક્ષના બધા સભ્યો આ નિર્ણય સાથે સહમત નથી. કેટલાક નેતાઓ કહે છે કે સભ્યપદ ફી અને કાર્યકરો તરફથી મળતી નાણાકીય સહાય જ પક્ષ માટે એકમાત્ર નાણાકીય ટેકો છે. પાર્ટીના એક નેતાએ કહ્યું, “અન્ય પક્ષોથી વિપરીત અમને મોટા ઉદ્યોગપતિઓ પાસેથી ભંડોળ મળતું નથી. પણ અમારા માટે કાર્યકરોની મૂંઝવણ સૌથી પહેલી છે. હવે અમારો એકમાત્ર કાયમી આવકનો સ્ત્રોત પ્રતિ સભ્ય 50 રૂપિયાની સભ્યપદ ફી છે. અમને વિશ્વાસ છે કે તેના આધારે પણ અમે ટકી જઈશું.”

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થવા જઈ રહ્યો છે

અહીં એ યાદ રાખવું જોઈએ કે, છેલ્લી લોકસભા ચૂંટણી બાદ બસપાએ ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આકર્ષવા માટે સભ્યપદ ફી 200 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરી છે. એ પછી અનેક નવા કાર્યકરો પક્ષમાં જોડાયા છે અને તેનાથી પક્ષમાં યુવા કાર્યકરોની ફૌજ વધી છે.

કેડર મીટિંગ્સ શરૂ કરી સંગઠનને મજબૂત કરવા પર ફોકસ

2007 માં ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક વિજય પહેલા પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે BSP માટે કેડર મીટિંગ્સ એક મહત્વપૂર્ણ માધ્યમ હતું. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, વચ્ચેના સમયગાળામાં આ બેઠકો બંધ કરી દેવામાં આવી હતી અને તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી છે. જેનાથી પક્ષની વિચારધારામાં માનતા યુવાઓમાં વધારો થયો છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, આ બંધ બારણે યોજાનારી બેઠકોમાં અનુસૂચિત જાતિ(SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને લઘુમતી સમાજના લગભગ 400 બૌદ્ધિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકો પહેલા, બૂથ અને સેક્ટર સ્તરની સમીક્ષાઓ દ્વારા પાર્ટીના ગ્રાઉન્ડ સંગઠનને મજબૂત બનાવવામાં આવે છે.

બહેનજી ખુદ સભાઓ સંબોધશે

માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કેડર મીટિંગ્સ ફરી શરૂ થઈ હતી અને ઓક્ટોબરથી સમગ્ર દેશમાં વ્યવસ્થિત રીતે તેને યોજવાનું આયોજન છે. હાલમાં ચાલી રહેલી છ મહિનાની સભ્યપદ ઝુંબેશ પૂર્ણ થયા પછી આ બેઠકોનો વિસ્તાર કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે, બહેન કુમારી માયાવતીજી વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે, જે બસપાના પુનરુત્થાન અભિયાનનો ભાગ હશે.

દલિત વોટ બેંકથી આગળ વધવાનો પ્રયાસ

પાર્ટીના પુનરુત્થાનના પ્રયાસોના ભાગ રૂપે, BSP તેની પરંપરાગત દલિત મત બેંકથી આગળ વધીને અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયો સાથે ફરીથી જોડાવાની યોજના ધરાવે છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “રાજભર, નિષાદ, મૌર્ય, કુશવાહા, સૈની અને કુર્મી જેવી મુખ્ય પછાત જાતિઓ 2012 પહેલા BSP સાથે હતી અને અમે તેમને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ પણ આપ્યું હતું. પરંતુ, 2012 માં સત્તા ગુમાવ્યા પછી, તેઓ સમાજવાદી પાર્ટી (SP), ભાજપ અને અન્ય નાના પ્રાદેશિક પક્ષો તરફ આકર્ષાયા. આપણે તેમનો ટેકો પાછો મેળવવો પડશે, કારણ કે ફક્ત દલિત મતોની મદદથી સત્તામાં પાછા ફરવું શક્ય નથી.”

ગુજરાતમાં પણ BSP આગળ વધી રહી છે

ગુજરાતમાં પણ બીએસપીનું નેતૃત્વ ધીમી પણ મક્કમ ગતિએ નવેસરથી આગળ વધી રહ્યું છે. હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના પ્રતિબદ્ધ કાર્યકરો પોતાના દમ પર જીતીને સ્થાનિક સ્તરે પોતાની મજબૂતીનું ઉદાહરણ રજૂ કર્યું છે. પક્ષનું સિનિયર નેતૃત્વ બહુજન સમાજના મજબૂત યુવાઓ, જે પક્ષની વિચારધારાને લઈને પ્રતિબદ્ધ છે તેમને મુખ્યધારાના રાજકારણમાં લાવવા મહેનત કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં વધુને વધુ બહુજન યુવાનો તેમના હકોને લઈને જાગૃત બની રહ્યાં છે ત્યારે બીએસપી માટે અહીં એક ઉજળી તક ઉભી થઈ છે. આગામી સમયમાં આ જ યુવાનો પક્ષને સત્તાની નજીક દોરી જશે તેવી ગુજરાત બીએસપીના નેતાઓને આશા છે.

આ પણ વાંચો: Kanshi Ram એ કેમ કદી અનામત બેઠક પરથી ચૂંટણી ન લડી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x