ભાજપનું જે પણ રાજ્યોમાં શાસન છે ત્યાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ જાણે રોજિંદી ઘટના બની ચૂકી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર હોય તેમ જણાય છે. અહીં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં દલિત સમાજ પર અત્યાચારની ઘટના બને છે. આવી જ એક ઘટના અહીંના મિર્ઝાપુરમાં બની છે. જ્યાં એક વેપારી અને તેના પુત્રે એક દલિત યુવકને ઢોરની જેમ માર મારતા તેનું મોત થઈ ગયું.
મામલો મિર્ઝાપુરના વિંધ્યાચલનો છે. અહીં ઉધારીના પૈસાની લેવડદેવડના નજીવા વિવાદમાં એક વેપારી અને તેના પુત્ર દ્વારા એક દલિત યુવક પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેએ દલિત યુવકને એટલી હદે માર માર્યો હતો કે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

યુવકની નાજુક સ્થિતિને જોતાં પરિવારજનોએ તેને તાત્કાલિક વારાણસીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે આ યુવકે દમ તોડી દીધો હતો. યુવકના અવસાનના સમાચાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: રાપરમાં કુલર બદલવા બાબતે દુકાનદારે દલિત મહિલાને થપ્પડો મારી
પોલીસની નિષ્ક્રિયતા અને કસ્બા ઈન્ચાર્જ પર ગંભીર આક્ષેપો
યુવકના મોતની ખબર મળતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પીડિત પરિવારનો સીધો આરોપ છે કે વિંધ્યાચલ પોલીસ અને ખાસ કરીને કસ્બા ઈન્ચાર્જની ઘોર બેદરકારી અને સુસ્તીના કારણે જ આજે યુવકનો જીવ ગયો છે.
પરિવારજનોએ કસ્બા ઈન્ચાર્જની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા કરતાં જણાવ્યું હતું કે, જો પોલીસે સમયસર આરોપી વેપારી સામે કડક કાનૂની કાર્યવાહી કરી હોત, તો આરોપી બેખોફ ફરતો ન હોત અને મામલો આટલી હદે ગંભીર બન્યો ન હોત. પીડિતની માતાએ પણ પોલીસની લાલિયાવાડી અને આરોપી વેપારી સામે આકરા પગલાં ભરવા પોતાની આપવીતી વર્ણવી હતી.

ન્યૂ VIP ગેટ પર શવ મૂકી ચક્કાજામ
પોલીસ દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન થતાં અને કસ્બા ઈન્ચાર્જ સામે કાર્યવાહી ન થવાથી નારાજ પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશિત ભીડ અને પરિવારે મૃતક યુવકના શબને સીધું જ વિંધ્યાચલ ધામના ન્યૂ VIP ગેટ પર લાવીને મૂકી દીધું હતું અને રસ્તો સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. ધામના મુખ્ય માર્ગ પર ચક્કાજામ થવાના કારણે દર્શન-પૂજન માટે આવેલા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને પ્રશાસનમાં પણ ભારે હડકંપ મચી ગયો હતો.
આ પણ વાંચો: રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં પણ દાનની ચોરીનો આરોપ
આરોપીઓની ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ
હાલમાં પણ પરિણામી વિરોધ પ્રદર્શન ચાલુ છે. પરિવારે સ્પષ્ટ શરત મૂકી છે કે જ્યાં સુધી ગુનેગાર વેપારી તથા તેના પુત્રની તાત્કાલિક અટકાયત કરવામાં નહીં આવે અને બેદરકાર કસ્બા ઈન્ચાર્જ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગેટ પરથી હટશે નહીં.
આ મામલે સમગ્ર વિસ્તારમાં ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ શાંતિ જાળવવા તેમજ પરિસ્થિતિને થાળે પાડવા માટે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. સ્થાનિક લોકો પણ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવી રહ્યા છે.
આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ










