પાટણમાં દલિત અને શોષિત સમાજની દીકરીઓ સુરક્ષિત નથી તેનો વધુ એક ભયાનક અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ઝાડીઓમાં એક નરાધમે માસૂમ દલિત સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી કૌમાર્ય લૂંટ્યું હતું. ગુનો આચર્યા બાદ દલિત દીકરીને જાતિ વિષયક અપમાનિત કરી, તેના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોં બંધ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે પીડિતાએ હિંમત દાખવીને પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિર્તન ગીરીશભાઇ રાજપુત ઉર્ફે ભોલુ રાજપુત સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
સગીરા હોવાનું જાણવા છતાં ઓળખાણ કેળવી હવસનો શિકાર બનાવી
બનાવની વિગતો અનુસાર, આરોપી કિર્તન રાજપુતે આ દલિત દીકરી સાથે અગાઉથી પરિચય કેળવ્યો હતો. બનાવ બન્યો ત્યારે દીકરીની ઉંમર માત્ર 17 વર્ષ, 10 મહિના અને 3 દિવસની હતી. દીકરી સગીર વયની છે અને પોતાના ભવિષ્ય પ્રત્યે અજાણ છે તે જાણવા છતાં, કટ્ટર માનસિકતા ધરાવતા આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. જાન્યુઆરી 2026 ના સમયગાળામાં આરોપી કિર્તન રાજપુતે અવાવરૂ જગ્યાએ આવેલી આનંદેશ્વર મહાદેવની ઝાડીઓમાં સગીરાને બળજબરીથી લઈ જઈને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો: RDAMના રાજ્ય સહ કન્વીનર તરીકે કિરીટ રાઠોડની નિમણૂક
દુષ્કર્મ બાદ જાનથી મારવાની ધમકી આપી
દલિત સમાજની દીકરીઓ પર અત્યાચાર ગુજાર્યા બાદ તેમની પર રોફ જમાવવાની સામંતશાહી માનસિકતા અહીં પણ છતી થઈ છે. દુષ્કર્મ આચર્યા બાદ કિર્તન રાજપુતે દલિત સગીરાને જાતિ સૂચક ગાળો ભાંડી અપમાનિત કરી હતી. આટલેથી ન અટકતા, જો આ ઘટના અંગે કોઈને જાણ કરવામાં આવશે તો તેના પિતા અને ભાઈને પતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભય અને આઘાતમાં સરેલી દલિત દીકરીએ આખરે પોતાના પરિવારને આપવીતી જણાવતાં પોલીસના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
જો સવર્ણ સમાજની દીકરી હોત તો આખું ગુજરાત માથે લેવાયું હોત!
આ ઘટનાએ ફરી એકવાર સમાજના બેવડા ધોરણો અને જાતિવાદી તત્વોની વિકૃત માનસિકતા ખુલ્લી પાડી દીધી છે. જો આ જ જગ્યાએ કોઈ સવર્ણ કે ઉચ્ચ જ્ઞાતિની દીકરી સાથે આવું દુષ્કર્મ થયું હોત, તો અત્યાર સુધીમાં જાતિવાદી સંગઠનોએ આખું ગુજરાત માથે લીધું હોત, બંધના એલાન અપાયા હોત અને આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગણીઓ સાથે હોબાળો મચાવ્યો હોત. પરંતુ, પીડિતા દલિત સમાજની હોવાથી સવર્ણ સમાજની બોલતી બંધ થઈ ગઈ છે અને ચુપકીદી સાધી લેવામાં આવી છે. શું દલિત દીકરીની આબરૂ અને જિંદગીની કોઈ કિંમત નથી?
આ પણ વાંચો: આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

બહુજન દીકરીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ
દેશભરમાં આજે દલિત, આદિવાસી અને વંચિત સમાજની દીકરીઓ સતત જાતિવાદી માનસિકતા ધરાવતા નરાધમોનો ભોગ બની રહી છે. કાયદાનો કોઈ ખૌફ ન હોય તેમ દલિત સમાજની દીકરીઓ પર અત્યાચાર આચરવામાં આવે છે. આ કિસ્સામાં પાટણ પોલીસે આરોપી કિર્તન રાજપુતની તાત્કાલિક ધરપકડ કરીને તેને કડકમાં કડક સજા થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. પીડિત દલિત દીકરી અને તેના પરિવારને યોગ્ય પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને નરાધમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી સમગ્ર બહુજન સમાજની માંગ છે.
આ પણ વાંચો: મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી











