સુનાવણી વિના 8 વર્ષ જેલ ભોગવનાર સુરેન્દ્ર ગાડલિંગને જામીન મળ્યાં

ભીમા કોરેગાંવ મામલે 8 વર્ષ સુધી સુનાવણી વિના જેલમાં બંધ રહેનાર માનવાધિકાર કાર્યકર્તા સુરેન્દ્ર ગાડલિંગને બોમ્બે હાઈકોર્ટે લાંબી અટકાયતના આધારે જામીન આપ્યા.
Elgar Parishad case Surendra Gadling

મુંબઈ: આપણું કહેવાતું તટસ્થ ન્યાયતંત્ર દલિતો સાથે જોડાયેલા કેસોમાં કઈ હદે પક્ષપાતી વલણ દાખવીને નિર્દોષ લોકોને વર્ષો સુધી વગર ટ્રાયલે જેલમાં સબડાવે છે તેનું સૌથી મોટું ઉદાહરણ ભીમા કોરેગાંવ કેસ છે. આ કેસમાં છેલ્લાં 8 વર્ષથી ટ્રાયલ વિના જેલ ભોગવી રહેલા સુરેન્દ્ર ગાડલિંગને આખરે જામીન મળ્યાં છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો હતો.

નાગપુરના જાણીતા માનવાધિકાર એડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગે લાંબા સમયથી અટકાયતના આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગાડલિંગ કોઈપણ સુનાવણી વિના અને અનેકવાર જામીન અરજીઓ ફગાવ્યા બાદ છેલ્લા આઠ વર્ષથી જેલવાસ ભોગવી રહ્યા હતા. જો આ વર્ષે 6 જૂન સુધી તેઓ જેલમાં રહ્યા હોત, તો તેમની અટકાયતને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા હોત.

સમાનતાના અધિકાર હેઠળ મળી રાહત

જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાનીની ખંડપીઠે ગાડલિંગની જાન્યુઆરી 2024થી પેન્ડિંગ જામીન અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. અદાલતે ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નો હવાલો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં કુલ 16 આરોપીઓમાંથી 14 ને અગાઉ જામીન મળી ચૂક્યા છે, તેથી ગાડલિંગને પણ સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. ગાડલિંગના વકીલ સુદીપ પાસબોલાએ કોર્ટમાં ભારપૂર્વક દલીલ કરી હતી કે સુનાવણી શરૂ થવામાં થઈ રહેલો અત્યંત વિલંબ એ માનવાધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે આ કેસમાં મોટાભાગના સહ-આરોપીઓ અત્યારે જેલની બહાર છે.

આ પણ વાંચો: દલિત સગીરાને ટોળાએ ‘જાદુગરણી’ કહી ઝાડ સાથે બાંધીને મારી

UAPA હેઠળ ગંભીર આરોપો લગાવાયા હતા

એલ્ગાર પરિષદ કેસ પુણેમાં 31 ડિસેમ્બર 2017ના રોજ આયોજિત એક ગોષ્ઠી સાથે જોડાયેલો છે. પોલીસ અને તપાસ એજન્સી એનઆઈએ (NIA) નો દાવો છે કે ત્યાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણોને કારણે બીજા દિવસે ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા ફાટી નીકળી હતી. એજન્સીએ આરોપ મૂક્યો હતો કે આ કાર્યક્રમ પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠન દ્વારા પ્રેરિત હતો.

ગાડલિંગ પર માઓવાદીઓને સહાય પૂરી પાડવી, સરકારી પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતી આપવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો હેઠળ યુએપીએ (UAPA) લગાવવામાં આવ્યો હતો. જામીન સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે ગાડલિંગના અન્ય ગુનાહિત રેકોર્ડનો હવાલો આપીને જામીનનો સખત વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: કેરળ નીતિન રાજ આત્મહત્યા મુદ્દે 52 દલિત સંગઠનો આંદોલન કરશે

જેલમાંથી નીકળવામાં હજુ પણ ટેકનિકલ અવરોધ

હાઈકોર્ટમાંથી જામીન મળવા છતાં સુરેન્દ્ર ગાડલિંગ હજુ જેલની બહાર આવી શકશે નહીં. તેમની સામે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 2016માં થયેલા એક આગજનીનો અલગ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 76 લોખંડના વાહનો સળગાવવાનો આરોપ છે, જેમાં તેમની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. ગઢચિરોલી કેસમાં તેમની જામીન અરજી હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

અન્ય આરોપીઓએ પણ કારણ વિના જેલ ભોગવી

આ કેસ ત્યારે દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો જ્યારે 84 વર્ષીય પાદરી સ્ટેન સ્વામીનું 2021માં ન્યાયિક કસ્ટડીમાં સારવારના અભાવે અવસાન થયું હતું. હાલમાં આ કેસના અન્ય આરોપીઓ જેવા કે વરવરા રાવ, સુધા ભારદ્વાજ, આનંદ તેલતુમ્બડે, ગૌતમ નવલખા અને શોમા સેન જામીન પર બહાર છે. અદાલતનો આ તાજેતરનો ચુકાદો અંડરટ્રાયલ કેદીઓના અધિકારો અને ન્યાયિક વિલંબ સામે એક મહત્વનો વળાંક માનવામાં આવે છે.

આ પણ વાંચો: ‘જો મારી લારી નહીં મળે તો પોલીસ ચોકી સામે દારૂ વેચીશ’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x