ગુજરાતમાં RTIના કાયદામાં નવા સુધારા કરવામાં આવ્યા છે. જેમાં હવે માહિતી માંગનારા અરજદારોને પાંચ પાનાં સુધીની માહિતી કોઈપણ શુલ્ક વિના પૂરી પાડવામાં આવશે. જ્યારે જો કોઈ અરજદાર દ્વારા ઈ-મેઇલથી અથવા ઓનલાઇન માહિતી માંગવામાં આવે તો સરકારી વિભાગોએ ફોટો પાડીને માહિતી મોકલી આપવાની રહેશે. આ સાથે અરજદારને રૅકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે, તેમને માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ (જેમ કે, પેન ડ્રાઇવ)માં લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. આ પછી પણ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
ભારતના બંધારણમાં દેશના દરેક નાગરિકોને વિશેષ અધિકારીઓ મળેલા છે, ત્યારે માહિતી અધિકાર અધિનિયમ–2005(RTI)ના કાયદામાં એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત માહિતી આયોગે વિધાનસભા સમક્ષ રજૂ કરેલા વર્ષ 2023-24ના વાર્ષિક વહીવટી અહેવાલમાં રાજ્ય સરકારને કેટલીક મહત્ત્વની ભલામણો કરી હતી. આ ભલામણોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 13 મે, 2025ના પરિપત્રથી RTIના કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નાગરિકોને માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવાની પ્રક્રિયામાં 5 પાનાં સુધીની માહિતી હવે મફત મળશે!
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
જાહેર માહિતી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો તથા પ્રથમ અપીલની વિગતો ધ્યાને લઈને પ્રથમ અપીલનો વિગતદર્શક હુકમ કરવામાં આવે અને તે હુકમનું જાહેર માહિતી અધિકારી દ્વારા પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સર્વે પ્રથમ અપીલ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આનાથી અપીલ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર(PAD)માં નાગરિકો દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીનો પણ સમાવેશ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ માહિતી નાગરિકોને વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તે કિંમતે અથવા છપામણી ખર્ચની કિંમતે પૂરી પાડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સંદર્ભે કરેલ કાર્યવાહીના રેકર્ડ્સ, તેમજ આપવામાં આવતી વિવિધ પરમિટ, લાયસન્સ, પરવાનગી, અધિકૃતિઓની મંજૂરીની વિગતો સ્વયં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિક/અરજદાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેમની અરજી પરત્વે થતી પ્રગતિથી વાકેફ રહી શકાય તે હેતુસર, મંજૂરીના પ્રત્યેક તબક્કે નાગરિક/અરજદારને મેસેજ/ઈ-મેઇલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે સર્વે જાહેરસત્તામંડળોને સૂચના આપવામાં આવી છે.
આનાથી અરજદારોને તેમની અરજીની સ્થિતિ જાણવા માટે વારંવાર પૂછપરછ કરવાની જરૂર રહેશે નહીં. આ સુધારાઓ ગુજરાતમાં RTI કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવશે અને જાહેર વહીવટમાં ખરેખર પારદર્શિતા અને જવાબ દેહિતા લાવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: કડાણામાં ના. મામલતદારે અડધા દિવસમાં 357 ST પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ