ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના ધામપુર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કમલ નામના યુવકના શંકાસ્પદ મૃત્યુના કેસમાં પોલીસે તેની પત્ની અર્ચના અને સસરા મહિપાલની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કમલનું મૃત્યુ ઝેરથી થયું હતું. મામલો જાતિવાદનો છે અને પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે.
શંકાસ્પદ મોતે હત્યાનું રહસ્ય ખોલ્યું
મુરાદાબાદના રહેવાસી વકીલ કમલનું બિજનોરના ધામપુરમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. તેના પિતા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે હત્યાની શંકા વ્યક્ત કરી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે કમલનું મૃત્યુ સલ્ફાસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ) ઝેરથી થયું હતું. આ ખુલાસાથી કેસ વધુ ગંભીર બન્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.
કમલની પત્ની, સસરા સહિત 6 લોકો સામે કેસ નોંધાયો
ધામપુર પોલીસે 31 મે 2025ના રોજ કમલની પત્ની અર્ચના, સસરા મહિપાલ સહિત છ લોકો સામે ભારતીય દંડ સંહિતા (BNS) અને SC/ST કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે હત્યા પાછળ કમલની જાતિ મુખ્ય કારણ છે.
કમલની દલિત જાતિ તેની હત્યાનું કારણ બની
પૂછપરછ દરમિયાન કમલના સસરા મહિપાલે જણાવ્યું કે તેની પુત્રી અર્ચના અને કમલ વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલા અર્ચનાને લાગતું હતું કે કમલ ઠાકુર જાતિનો છે પરંતુ લગ્ન પછી એવું બહાર આવ્યું કે ઠાકુર નહીં પરંતુ દલિત જાતિનો છે. આ ખુલાસાથી અર્ચના અને તેના પરિવારને સામાજિક બદનામીનો ડર લાગ્યો હતો. જેના કારણે અર્ચના અને મહિપાલે મળીને કમલને ઝેર આપીને મારી નાખ્યો હતો.
આ પણ વાંચો: કડીની દલિત સગીરાને 20 હજારમાં વેચી 5 લોકોએ રેપ કર્યો
સામાજિક બદનામીના ડરે હત્યા કરી
મહિપાલે પોલીસને જણાવ્યું કે કમલ દલિત જાતિનો છે તે ખ્યાલ આવ્યા બાદ પરિવારમાં તણાવ વધ્યો હતો અને તેને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર હતો. આ અણબનાવથી હત્યાનું કાવતરું રચાયું. પોલીસે જણાવ્યું હતું કે કમલે પોતાના લગ્નની વાત પણ તેના પરિવારથી છુપાવી હતી. આ રહસ્યથી કેસ વધુ જટિલ બન્યો હતો.
અન્ય આરોપીઓની શોધખોળ ચાલું
પોલીસે કમલની પત્ની અર્ચના અને તેના પિતા મહિપાલની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે. આ કેસના અન્ય આરોપીઓ કમલની સાસુ ઉષા, અર્ચનાનો ભાઈ, કાકા અને મોટાબાપુનો દીકરો હજુ પણ ફરાર છે. ધામપુર પોલીસ સર્કલ ઓફિસર સર્વમ સિંહે જણાવ્યું હતું કે આ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે અને તમામ આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.
તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા
પોલીસ સર્કલ ઓફિસર સર્વમ સિંહે જણાવ્યું હતું કે કમલ અને અર્ચનાના કોર્ટ મેરેજ પછી જાતિના કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું જણાય છે. આ હત્યા કેસમાં સામાજિક અને કૌટુંબિક દબાણની ભૂમિકા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોલીસ કહે છે કે તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: ‘દલિત થઈને મેરેજ હોલમાં લગ્ન કેમ રાખ્યા?’ કહી ટોળાએ હુમલો કર્યો