અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ વાડજના રામાપીરના ટેકરા ખાતે આવેલા સેક્ટર-3માં ભાવેશભાઈ મકવાણા (ઉ.32) રહેતાં હતા. તેઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને તેમની પત્ની સાથે પણ બનાવ બન્યો હતો. જેને લઈને તા. 23 ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ જ્યારે તેમના ઘરે હાજર હતા ત્યારે સાળાઓ ત્યાં આવ્યા હતા અને ઝઘડા બાબતે મારામારી કરવા લાગ્યા હતા. બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, જેને લઈને તેમના સાળાઓએ ભાવેશભાઈને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધા હતા.

આ પણ વાંચો: નેપાળમાં બળવાનો ચહેરો બનેલો સુદન ગુરંગ કોણ છે?
જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક ભાવેશભાઈના પિતા બળદેવભાઈએ જણાવ્યું હતું કે, તેની પત્નીએ પગારમાંથી અમને એક રૂપિયો આપ્યો નથી અને કોને પૈસા આપે છે તે અમને ખબર નથી. ગઈકાલે ભાવેશના પત્નીના પરિવારજનો અમારા ઘરે આવ્યા હતા. અમે તેમને બેસીને વાત કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે બોલાચાલી કરીને સીધો ભાવેશને ઉપરથી નીચે ફેંકી દીધો હતો.
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.ડાંગરે જણાવ્યું હતું કે, વાડજ રામાપીરના ટેકરાના સેક્ટર-3માં પારિવારિક ઝઘડામાં યુવકને માર મારવામાં આવ્યો અને ઉપરથી નીચે ફેંકી દેવાનો આક્ષેપ કરાયો છે. હાલ યુવકની હત્યા મામલે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દલિતો-સવર્ણો વચ્ચે રસ્તાને લઈને હિંસક અથડામણ, અનેક દલિતો ઘાયલ












