દેશમાં આજે પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને સામાજિક અન્યાયની ઘટનાઓ અટકી રહી નથી. કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં સ્થાનિક મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા દલિત સમાજના યુવાનો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે અને વહીવટીતંત્રે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો.
મંદિર પ્રવેશ મુદ્દે ઘર્ષણ બાદ હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ચન્નાગિરી તાલુકાના મલાલાકેરે ગામની છે. શુક્રવારે રાત્રે ગામમાં ‘અજ્જી હબ્બા’ નામના સ્થાનિક તહેવારની ઉજવણી ચાલી રહી હતી. તહેવારની ઉજવણી પૂરી કરીને દલિત સમાજના 3 યુવાનો ગામના મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે જઈ રહ્યા હતા.

જોકે, દલિત યુવકો જેવા મંદિરના પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા 20થી વધુ લોકોના ટોળાએ તેમને અટકાવ્યા હતા. જાતિવાદી તત્વોએ યુવકો સાથે ઉગ્ર દલીલો કરી હતી અને દલિતો મંદિરમાં પ્રવેશી શકે નહીં તેમ કહીને તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દલિત યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
42 લોકો સામે ગુનો દાખલ
ઘટનાની જાણ થતાં જ પીડિત દલિત યુવકોએ બસવાપટના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈને તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પીડિતોની ફરિયાદના આધારે કુલ 42 લોકો સામે ગુનાહિત કાવતરું રચવા અને હિંસા આચરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો
ચન્નાગિરીના આસિસ્ટન્ટ કમિશનર (AC) ચન્નપ્પાએ જણાવ્યું હતું કે, આ મામલે બસવાપટના પોલીસ સ્ટેશનમાં SC/ST અત્યાચાર નિવારણ કાયદા (Atrocity Act) હેઠળ ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. હુમલામાં ઘવાયેલા યુવકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ચિગતેરી જિલ્લા હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ અને તંત્રની હાજરીમાં દલિતોને મંદિર પ્રવેશ કરાવાયો
જાતિવાદી હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મામલતદાર નાગરાજ, એસી ડો. ચન્નપ્પા અને એસપી એચ. ટી. શેખર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક મલાલાકેરે ગામમાં પહોંચી ગયો હતો.
અધિકારીઓએ ગામનો મોનિટરિંગ સર્વે કર્યો હતો અને દલિત સમાજના લોકોને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. તંત્રની હાજરીમાં દલિતોએ મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ વહીવટીતંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદા અને બંધારણથી ઉપર કોઈ નથી.
આ પણ વાંચોઃ રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા
સામસામે દાવા અને પોલીસ તપાસ
બીજી તરફ, સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે અધિકારીઓએ બંને સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજી હતી અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જોકે, બીજા સમાજના સ્થાનિક આગેવાનોએ જાતિવાદી હુમલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. બસવાપટના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઈમ્તિયાઝના જણાવ્યા મુજબ, બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. હાલમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે. આસિસ્ટન્ટ કમિશનરે ઉમેર્યું હતું કે, “પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સત્ય સામે આવશે. કોઈપણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?












