મલેશિયાની નેશનલ યુનિવર્સિટી ઓફ મલેશિયામાં ટિશ્યુ એન્જિનિયરિંગ એન્ડ રિજનરેટિવ મેડિસિન વિષયમાં PhD કરી રહેલા મધુરાઈના દલિત સ્કોલર ભરથિદાસન રમણે તમિલનાડુ સરકાર અને સામાજિક ન્યાય વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અન્નાલ આંબેડકર ઓવરસીઝ હાયર એજ્યુકેશન સ્કોલરશીપ હેઠળ ફંડ ન મળતા તેનું રિસર્ચ છેલ્લા 6 મહિનાથી અટકી પડ્યું છે. યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાની સ્થિતિ સર્જાતા રમણે વીડિયો જાહેર કરી રોહિત વેમુલા જેવી હેરાનગતિનો સામનો કરવાનો ખુલાસો કર્યો છે, જેના કારણે રાજકીય વટોળ ઊભો થયો છે.
દલિત સ્કોલર રમણે ફેસબુક વીડિયો મારફતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બીજા વર્ષની રિસર્ચ માટેનું ફંડ ન મળવાના કારણે તેનું ભણતર સ્થગિત થઈ ગયું છે. ઓક્ટોબરની શરૂઆતમાં એમ્સ (AIIMS) દિલ્હી ખાતે પોતાનું રિસર્ચ પેપર રજૂ કરવાનું હતું પરંતુ નાણાકીય કટોકટીના કારણે તે જઈ શક્યા નથી. રમણે આક્ષેપ કર્યો છે કે તમિલનાડુ સરકાર વચન આપીને ફરી ગઈ છે અને અડચણો ઊભી કરી રહી છે. તેણે આજીજી કરી હતી કે “સરકાર કાં તો પૈસા જાહેર કરે અથવા સ્પષ્ટ ના પાડી દે જેથી હું આગળનો કોઈ રસ્તો શોધી શકું, પણ મારી સાથે રોહિત વેમુલા જેવું વર્તન ન કરે.”

આ પણ વાંચો : CIC પાસે પુરતો સ્ટાફ છતાં 40,000 RTI કેસ પેન્ડિંગ
સામાજિક ન્યાય વિભાગનો ઇનકાર અને દાવો
આ ગંભીર આક્ષેપો સામે તમિલનાડુના સામાજિક ન્યાય વિભાગ અને મંત્રી વન્ની અરાસુએ હેરાનગતિના દાવા ફગાવ્યા છે. વિભાગના ખુલાસા મુજબ, વિદ્યાર્થીને 2025 થી 3 વર્ષ માટે સ્પોન્સરશિપ લેટર અપાયો હતો જેમાં દર વર્ષે 36 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. પ્રથમ વર્ષે ટ્યુશન ફી, વિઝા અને ફ્લાઇટ ખર્ચ સહિત સમગ્ર રકમ ચૂકવાઈ હતી.
બીજા વર્ષ (2026-27) માટે વિભાગે દાવો કર્યો છે કે દસ્તાવેજો અધૂરા હોવા છતાં વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 12 લાખ રૂપિયા જારી કરાયા છે (5.57 લાખ યુનિવર્સિટી ફી અને 6.65 લાખ રહેવા-જમવા માટે). વિદ્યાર્થીએ વધારાના 19.50 લાખ રૂપિયાની માગ કરી છે. વિભાગનું કહેવું છે કે સ્કોલરે રજૂ કરેલા બિલ અને ખર્ચના અંદાજને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે મંજૂરી આપી નથી. 17 સપ્ટેમ્બર 2026 ના રોજ યુનિવર્સિટીને ઈમેલ મોકલી સ્પષ્ટતા માગવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રથમ બે વર્ષ માટે કુલ 48 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

વિપક્ષી નેતાઓનો આક્રોશ અને સ્ટાલિનની ચીમકી
આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ. કે. સ્ટાલિને TVK સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું, “સરકાર બદલાવા માત્રથી કોઈ વિદ્યાર્થીના ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન રોળાવું ન જોઈએ. તે ભીખ નથી માગી રહ્યો પરંતુ સરકાર દ્વારા મંજૂર કરાયેલા પોતાના બંધારણીય હકની માગ કરી રહ્યો છે. જે રોહિત વેમુલા સાથે થયું તેવું તમિલનાડુમાં ન થવું જોઈએ.” સ્ટાલિને જાહેરાત કરી કે જો TVK સરકાર ફંડ આપી શકતી ન હોય તો સ્પષ્ટ કહી દે, DMK અને તમિલનાડુની જનતા તે દલિત સ્કોલરના ભણતરનો તમામ ખર્ચ ઉપાડશે. આ ઉપરાંત DMK સાંસદ કનિમોઝી અને CPIM ના રાજ્ય સચિવ શણમુગમે પણ સરકારના વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી
સ્કોલરશીપનો વ્યાપ અને આંકડા
‘અન્નાલ આંબેડકર ઓવરસીઝ હાયર એજ્યુકેશન સ્કોલરશીપ’ યોજના વિદેશમાં ભણતા SC, ST અને ખ્રિસ્તી આદિ દ્રવિડ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે. યોજનાના આંકડા મુજબ: 2023-24 માં 35 વિદ્યાર્થીઓને 8.94 કરોડ રૂપિયા મળ્યા. 2024-25 માં 163 વિદ્યાર્થીઓને 60.33 કરોડ રૂપિયા મળ્યા. 2025-26 માં 181 વિદ્યાર્થીઓને 84.87 કરોડ રૂપિયા અપાયા. 2026-27 ના વર્ષ માટે 365 વિદ્યાર્થીઓ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
જોકે, માનસિક અને આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા દલિત વિદ્યાર્થી રમણ માટે આ આંકડા માત્ર કાગળ પર છે. કાગળિયા અને નિયમોના નામે બહુજન વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવાની આ મનુવાદી માનસિકતા છે કે અમલદારશાહીની આળસ? તે પ્રશ્ન આજે દેશભરના દલિત અને બહુજન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો











