પાલિતાણા: ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં વન્યજીવો અને માનવો વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન ચિંતાજનક સપાટીએ પહોંચી રહ્યો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા(Palitana) તાલુકાના ગરાજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે ધોળા દિવસે સિંહે એક માલધારી પર જીવલેણ હુમલો(lion attack) કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સિંહે આધેડ માલધારીને જમીન પર દબોચીને તેમનો હાથ અડધો કલાક સુધી પોતાના મકાન જેવા જડબામાં જકડી રાખ્યો હતો અને પગની આંટી મારીને ડણકો દીધી હતી. આ કાળજું કંપાવતી ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. તાજેતરના સમયમાં ગુજરાતમાં સિંહો દ્વારા રેસિડેન્શિયલ અને સીમ વિસ્તારોમાં ઘૂસીને મનુષ્યો પર હુમલા કરવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જે વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે.

મામલો શું હતો
પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, ગરાજીયા ગામના સીમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર સવારે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાના પશુઓને ઘાસચારો નાખવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામની બજારમાં આંટા મારતો સિંહ અચાનક હિંસક બની કાળુભાઈ પર તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો: દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં
સિંહે પ્રથમ કાળુભાઈની પીઠના ભાગે પંજો મારીને તેમને જમીન પર પાડી દીધા હતા અને ત્યારબાદ તેમનો જમણો હાથ પોતાના મોઢામાં કચડી નાખ્યો હતો. કાળુભાઈએ જીવ બચાવવા માટે વલખા મારતા સિંહને શાંત કરવા તેના ગળાના ભાગે હાથ પંપાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે વધુ ઉશ્કેરાઈને પગની આંટી મારી તેમને દબોચી રાખ્યા હતા.

ગામલોકો લાકડીઓ, પથ્થરો લઈને દોડી આવ્યા
આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના 200 થી 300 જેટલા ગ્રામજનો લાકડીઓ અને પથ્થરો લઈને દોડી આવ્યા હતા. લોકોએ સિંહને ભગાડવા માટે જોરજોરથી બૂમો પાડી અને પથ્થરમારો કર્યો હતો, પરંતુ સિંહ ભારે હિંમત અને આક્રમકતા સાથે કાળુભાઈની માથે અડધો કલાક સુધી બેસી રહ્યો હતો અને લોકોની સામે થઈને ડણકો દેતો રહ્યો હતો.
ભારે જહેમત બાદ ગ્રામજનોએ માલધારીને સિંહના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા હતા. હુમલાને કારણે લોહીલુહાણ થયેલા કાળુભાઈને તાત્કાલિક પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું લોહી વહેવાનું બંધ ન થતાં વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ત્યાં તેમના એક્સ-રે અને સીટી સ્કેન સહિતની સઘન તપાસ ચાલી રહી છે.
અન્ય વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો
આ ઘટના પૂર્વે સિંહે ગામના અન્ય એક નાગરિક હેમુભાઈ ગઢવીના ઘર પાસે પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. હેમુભાઈના જણાવ્યા મુજબ, સવારે સાડા આઠથી નવ વાગ્યાની આસપાસ સિંહ તેમના વાડામાં ઘૂસી ગયો હતો. તેઓ જ્યારે પોતાના ભાઈના ઘરનો દરવાજો બંધ કરવા દોડ્યા ત્યારે સિંહ તેમની પાછળ પડ્યો હતો, પરંતુ વચ્ચે તેમની પાલતુ ભેંસ આડી આવી જતાં હેમુભાઈ અને તેમના માતાનો જીવ આબાદ બચી ગયો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર લાઈબ્રેરીમાંથી સવર્ણોએ દલિત બાળકોને લાકડીના જોરે બહાર કાઢ્યા
ત્યાંથી નિષ્ફળ ગયેલો સિંહ સીધો કાળુભાઈના ઘરે પહોંચ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગના બે કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ નિયંત્રિત કરવાને બદલે કોઈ પણ પગલાં લીધા વિના ત્યાંથી સીધા નીકળી ગયા હતા, જેને પગલે લોકોમાં વન તંત્ર સામે ભારે આક્રોશ છે.
આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?
સિંહો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ વધી
આ હિંસક હુમલાના કારણે ગરાજીયા ગામમાં એટલો ભય વ્યાપી ગયો છે કે ગામના અંદાજિત 50 ટકા જેટલા નાના બાળકો ડરના માર્યા શાળાએ ભણવા પણ ગયા નહોતા. માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ઘેરી ચિંતા જોવા મળી રહી છે.
પાલિતાણા ના ના ગરજીયા ગામે માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે કર્યો હુમલો કર્યો છે.
સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે કર્યો હુમલો કર્યો હતો, ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.#Lion#Gir#Bhavnagar#AnimalAttack pic.twitter.com/zSN4ViANvB
— Dr. Kiran J Patel (@kiranpatel1977) July 6, 2026
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો દ્વારા માનવ વસ્તી પર હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. વન્યજીવોના કુદરતી રહેઠાણોમાં ખલેલ અથવા ખોરાકની શોધ તેમને માનવ વસાહતો તરફ ધકેલી રહી છે. હાલ વન વિભાગની ટીમ મોડી મોડી હરકતમાં આવી છે અને આ વિસ્તારમાં આતંક મચાવનાર સિંહને પાંજરે પૂરવા માટે તપાસ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?











